15 November, 2019 09:42 AM IST | Patna
મહાન ગણિતજ્ઞ વશિષ્ઠ નારાયણ સિંહ
બિહારના વિભૂતિ અને આઇન્સ્ટાઇનના સિદ્ધાંતને પડકાર ફેંકનાર મહાન ગણિતજ્ઞ વશિષ્ઠ નારાયણ સિંહનું મૃત્યુ નીપજ્યું છે. વશિષ્ઠ નારાયણ સિંહ પોતાના પરિવારની સાથે પટનાના કુલ્હરિયા કૉમ્પ્લેક્સમાં રહેતા હતા. મળતી માહિતી અનુસાર ગઈ કાલે સવારે અચાનક તબિયત ખરાબ થઈ ગઈ હતી. ત્યાર બાદ તાત્કાલિક પરિવારજનો પીએમસીએચ લઈને આવ્યા હતા જ્યાં ડૉક્ટરોએ તેમને મૃત જાહેર કર્યા.આરાના બસંતપુરના રહેવાસી વશિષ્ઠ નારાયણ સિંહ બાળપણથી હોશિયાર હતા. છઠ્ઠા ધોરણમાં તેમણે નેતરહાટમાં ઍડ્મિશન લીધું અને ત્યાર બાદ ક્યારેય પાછું વળીને જોયું નહીં. ત્યાર બાદ તેમણે પટણા સાયન્સ કૉલેજમાં પોતાનો અભ્યાસ પૂરો કર્યો. આ દરમિયાન કૅલિફૉર્નિયા યુનિવર્સિટીના પ્રોફેસર જોન કૈલીની નજર તેમના પર પડી ત્યાર બાદ વશિષ્ઠ નારાયણ ૧૯૬૫માં અમેરિકા જતા રહ્યા અને ત્યાંથી ૧૯૬૯માં તેમણે પીએચડી કર્યું. સૌથી દુખની વાત એ હતી કે વશિષ્ઠ નારાયણ સિંહના નિધન બાદ તેમનો મૃતદેહ ઘરે લઈ જવા માટે ઍમ્બ્યુલન્સ મેળવવા પરિવારના સભ્યોએ કલાકો સુધી પ્રતીક્ષા કરવી પડી હતી.