29 October, 2020 04:19 PM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
ફાઈલ તસવીર
પાકિસ્તાનની સંસદમાં તેના જ સાંસદે ભારતીય વાયુસેના (Indian Air Force)ના વિંગ કમાંડર અભિનંદનને લઈને કરેલા ખુલાસાએ ઈમરાન ખાન સરકાર અને પાકિસ્તાની સૈન્યની જ પોલ ખોલી નાખી હતી.
ખુદ પાકિસ્તાનના જ સાંસદે દાવો કર્યો છે કે, પાકિસ્તાન સેનાધ્યક્ષ જનરલ બાજવા ધ્રુજી ઉઠ્યા હતાં અને ભારતના ડરના કારણે અભિનંદનને છોડવા પડ્યાં હતાં. હવે આ મામલે ભારતીય વાયુસેનાના તે વખતના એરચીફ બીએસ ધનોઆ (BS Dhanoa) એ પણ ખુલાસો કર્યો છે.
બીએસ ધનોઆએ કહ્યું હતું કે, મેં અભિનંદનના પિતાને વચન આપ્યું હતું કે, અમે તેને પાછો લાવીશું જ. અમને 1999ની ઘટના યાદ છે જ્યારે પાકિસ્તાને છેલ્લી ઘડીએ દગો આપ્યો હતો, માટે અમે આ વખતે વધારે સતર્ક હતાં. મેં અભિનંદનના પિતા સાથે કામ પણ કર્યું છે. જે રીતે પાકિસ્તાની સાંસદ નિવેદનો આપી રહ્યાં છે તેનું મુખ્ય કારણ તે સમયે ભારતીય વાયુસેનાની પોઝિશન હતી, જે ખુબ જ આક્રમક હતી. અમે એટલી આક્રમક સ્થિતિમાં હતાં જે પાકિસ્તાનની આખી બ્રિગેડનો જ સર્વનાશ કરતા હતાં અને પાકિસ્તાન પણ આ વાત સારી રીતે જાણતુ હતુ.
તેમણે ઉમેર્યું કે, બાલાકોટ એરસ્ટ્રાઈક બાદ પાકિસ્તાન પર કુટનૈતિક અને રણનૈતિક રીતે ભારે દબાણ હતું. તેને ખબર હતી કે, જો લાઈન ક્રોસ કરી તો તેના અતિ ગંભીર પરિણામો ભોગવવા પડી શકે છે. ભારતીય વાયુસેના પાકિસ્તાનની તમામ ફોરવર્ડ પોસ્ટ તબાહ કરવાની તૈયારીમાં હતું.
પીએમએલ-એન નેતાએ વિપક્ષી નેતાઓને કહ્યું હતું કે, આ મુદ્દે કુરેશીએ પીપીપી, પીએમએલ-એન અને સેનાપ્રમુખ જનરલ કમર જાવેદ બાજવા સહિત અન્ય નેતાઓ સાથે બેઠક યોજી હતી. સાદિકે કહ્યું હતું, ‘મને યાદ છે કે મીટિંગ દરમિયાન આર્મી ચીફ બાજવા રૂમમાં આવ્યા. એ સમયે તેમના પગ ધ્રૂજી રહ્યા હતા.