21 November, 2021 05:39 PM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
પ્રતિકાત્મક તસવીર
ભારતીય નૌકાદળના નવા વિનાશક INS વિશાખાપટ્ટનમને આજે નૌકાદળના કાફલામાં સામેલ કરવામાં આવ્યું છે. મુંબઈમાં એક કાર્યક્રમમાં આને લગતી ઔપચારિકતા પૂરી કરવામાં આવી હતી. ટોચના નેવલ કમાન્ડરોની હાજરીમાં તેને સેવામાં સામેલ કરવામાં આવી હતી. આ સમારોહમાં સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહ પણ હાજર રહ્યા હતા. આ પ્રસંગે રાજનાથ સિંહે કહ્યું કે ભારત ટૂંક સમયમાં જ આખી દુનિયા માટે જહાજોનું નિર્માણ કરશે.
દરમિયાન, સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહે ચીન પર પ્રહાર કરતાં કહ્યું હતું કે “સર્વોપરિતા વલણ ધરાવતા “કેટલાક બેજવાબદાર દેશો” તેમના સંકુચિત પક્ષપાતી હિતોને કારણે યુનાઇટેડ નેશન્સ કન્વેન્શન ઓન ધ લો ઓફ ધ સી (UNCLOS)નું ખોટું અર્થઘટન કરી રહ્યા છે.” સિંહે કહ્યું કે “એ ચિંતાનો વિષય છે કે કેટલાક દેશો દ્વારા મનસ્વી અર્થઘટન દ્વારા UNCLOSની વ્યાખ્યાને સતત પાતળી કરવામાં આવી રહી છે”.
INS વિશાખાપટ્ટનમના નિર્માણની વાત કરીએ તો તેની લંબાઈ 163 મીટર, પહોંળાઈ 17 મીટર અને તેનું કુલ વજન 7400 ટન છે. તેમાં લગાવવામાં આવેલા 75 ટકા સાધનો સ્વદેશી છે.
તેની ડિઝાઇન નેવીના નેવલ ડિઝાઇન ડિરેક્ટોરેટ દ્વારા તૈયાર કરવામાં આવી છે. તે જ સમયે, તેનું નિર્માણ મુંબઈમાં મઝગાંવ ડોક શીપબિલ્ડર્સ લિમિટેડ (MDL) ખાતે કરવામાં આવ્યું છે.
INS વિશાખાપટ્ટનમની સૌથી મોટી ખાસિયત એ છે કે દુશ્મન દેશના રડારને ટ્રેસ કરી શકશે નહીં. આનું કારણ એ છે કે તેની બહારની સપાટી ખાસ સ્ટીલ મેટલમાંથી બનાવવામાં આવી છે.
INS વિશાખાપટ્ટનમ દેશનું પ્રથમ P-15B ક્લાસ સ્ટેલ્થ ગાઈડેડ મિસાઈલ ડિસ્ટ્રોયર છે. તેની મહત્તમ ઝડપ 55.56 કિલોમીટર પ્રતિ કલાક છે.
તેમાં મીડિયમ રેન્જની સરફેસ ટુ એર મિસાઈલ, સરફેસ ટુ સરફેસ બ્રહ્મોસ, એલ એન્ડ ટી કંપનીનું ટોરપિડો ટ્યુબ લોન્ચર, એલ એન્ડ ટીનું એન્ટી સબમરીન રોકેટ લોન્ચર અને ભેલની 76 મીમી સુપર રેપિડ ગનનો સમાવેશ થાય છે.
દુશ્મનના જહાજને જોઈને આઈએનએસ વિશાખાપટ્ટનમ તેના ડેક પરથી વિમાન વિરોધી મિસાઈલ છોડવામાં સક્ષમ છે.
આ યુદ્ધ જહાજમાં ટોર્પિડો ટ્યુબ અને લોન્ચર ઉપરાંત એન્ટી સબમરીન રોકેટ લોન્ચર, સુપર રેપિડ ગન માઉન્ટ, કોમ્બેટ મેનેજમેન્ટ સિસ્ટમ, ઈન્ટીગ્રેટેડ પ્લેટફોર્મ મેનેજમેન્ટ સિસ્ટમ પણ લગાવવામાં આવી છે.