31 July, 2023 05:44 PM IST | Patna | Gujarati Mid-day Online Correspondent
ફાઇલ તસવીર
લેન્ડ ફૉર જોબ કેસમાં એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટે (ED`s Big Action) સોમવારે એક મોટી કાર્યવાહીમાં લાલુ પરિવારની 6 કરોડની સંપત્તિ જપ્ત કરી છે. બિહારના પૂર્વ મુખ્યપ્રધાન લાલુ પ્રસાદ યાદવ (Lalu Prasad Yadav) અને તેમના પરિવારના કથિત `જમીનના બદલામાં નોકરી` કૌભાંડની તપાસ ચાલી રહી છે. સીબીઆઈની ટીમે આ મામલે લાલુ પરિવારના કેટલાય સભ્યોની પૂછપરછ કરી છે.
લાલુ પ્રસાદના પરિવારનું કહેવું છે કે, રાજકીય ષડયંત્રના ભાગરૂપે ફરી એકવાર `જમીનના બદલામાં નોકરી`નો મામલો સામે આવ્યો છે. સીબીઆઈ આ કેસની બે વખત તપાસ કરી ચૂકી છે અને તેને કોઈ પુરાવા મળ્યા નથી. આ પછી સીબીઆઈએ કેસ બંધ કરી દીધો હતો. ત્યારે હવે સીબીઆઈ આ મામલે પૂછપરછ કરીને શું જાણવાનો પ્રયાસ કરી રહી છે.
નોંધપાત્ર વાત એ છે કે `લેન્ડ ફૉર જોબ` (Land For Job Scam) કેસમાં મે મહિનામાં સીબીઆઈની ટીમે દેશભરમાં 9 સ્થળોએ દરોડા પાડ્યા હતા. સીબીઆઈએ પટના, આરા, ભોજપુર, દિલ્હી અને ગુરુગ્રામમાં દરોડા પાડ્યા હતા. બિહારના પૂર્વ મંત્રી પ્રેમચંદ ગુપ્તાના ઘર પર પણ સીબીઆઈ દ્વારા દરોડા પાડવામાં આવ્યા હતા. આ સાથે CBIએ RJD પ્રમુખ લાલુ યાદવના નજીકના ધારાસભ્ય કિરણ દેવીના પટના અને આરાના ઘરો પર દરોડા પાડ્યા હતા.
શું છે સમગ્ર મામલો?
આ મામલો 2004થી 2009 દરમિયાન જ્યારે તેઓ રેલવે મંત્રી હતા ત્યારે લાલુ પ્રસાદ (Lalu Prasad Yadav)ના પરિવારને કથિત રીતે ભેટમાં આપવામાં આવેલી અથવા વેચવામાં આવેલી જમીનના બદલામાં રેલવેમાં કરવામાં આવેલી નિમણૂકો સાથે સંબંધિત છે. આ અંગે સીબીઆઈ પણ તપાસ કરી રહી છે. સીબીઆઈએ તેની ચાર્જશીટમાં કહ્યું છે કે ભારતીય રેલવેના નિર્ધારિત ધોરણો અને પ્રક્રિયાઓનું ઉલ્લંઘન કરીને રેલવેમાં નિમણૂકો કરવામાં આવી હતી.
લાલુ પ્રસાદ યાદવનો પીએમ મોદી પર પ્રહાર
રાષ્ટ્રીય જનતા દળના સુપ્રીમો લાલુ પ્રસાદ યાદવે વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર કટાક્ષ કરતા કહ્યું કે તેઓ આગામી લોકસભા ચૂંટણીમાં હારથી ચિંતિત છે, તેથી તેઓ વિદેશમાં જગ્યા શોધી રહ્યા છે. પીએમ મોદીના વિદેશ પ્રવાસનો ઉલ્લેખ કરતા તેમણે એમ પણ કહ્યું કે તેઓ બહાર જવાની યોજના બનાવી રહ્યા છે, તેથી તેઓ વારંવાર વિદેશ પ્રવાસ કરી રહ્યા છે.
રવિવારે (31 જુલાઈ), લાલુ પ્રસાદ યાદવે તેમના મોટા પુત્ર અને બિહાર સરકારના મંત્રી તેજ પ્રતાપ યાદવ દ્વારા આયોજિત એક કાર્યક્રમમાં હાજરી આપી હતી, જ્યાં તેમણે આગામી લોકસભા ચૂંટણી અને મણિપુર મુદ્દે કેન્દ્ર સરકાર પર પ્રહારો કર્યા હતા.
લાલુએ શું કહ્યું?
લાલુ યાદવેએ કહ્યું, “મોદીજી રાજીનામું આપવાનું વિચારી રહ્યા છે... એટલા માટે તેઓ વારંવાર વિદેશની મુલાકાત લઈ રહ્યા છે. તેઓ બહાર એવી જગ્યા શોધી રહ્યા છે, જ્યાં તેઓ આરામ કરી શકે, પિત્ઝા મોમોઝ અને ચાઉમિનનો આનંદ માણી શકે.”