નરેન્દ્ર મોદીના સંસદીય મતવિસ્તારમાં ત્રણ લાખથી વધુ ભૂતિયા મતદારો

26 November, 2014 06:03 AM IST  | 

નરેન્દ્ર મોદીના સંસદીય મતવિસ્તારમાં ત્રણ લાખથી વધુ ભૂતિયા મતદારો




વડા પ્રધાન નરેન્દ્ર મોદી વારાણસી સંસદીય મતવિસ્તારમાંથી ૩,૭૧,૭૮૪ મતોની સરસાઈથી વિજેતા થયા હતા, પણ આ કૉન્સ્ટિટ્યુઅન્સીમાંથી અત્યાર સુધીમાં ૩,૧૧,૦૫૭ ભૂતિયા મતદારો મળી આવ્યા છે. ભૂતિયા મતદારોને શોધવાનું કામ ચાલુ છે અને જિલ્લા વહીવટી તંત્રનો અંદાજ છે કે આવા મતદારોની સંખ્યા ૬,૪૭,૦૮૫ના આંકને પાર કરી શકે છે. વારાણસીમાં આટલી મોટી સંખ્યામાં ભૂતિયા મતદારો મળી આવ્યા હોય એવો આ સૌપ્રથમ કિસ્સો છે. દેશના ચૂંટણી પંચના આદેશને પગલે જિલ્લા વહીવટી તંત્રે

મતદાર યાદીની સમીક્ષાનું અભિયાન શરૂ કર્યું એના પગલે આ માહિતી બહાર આવી હતી.

વોટર્સ લિસ્ટની સમીક્ષા

પહેલી જાન્યુઆરી ૨૦૧૫ના રોજ ૧૮ વર્ષની વય પૂરી કરીને ૧૯મા વર્ષમાં પ્રવેશ કરનારા યુવાઓનાં નામ વોટર લિસ્ટમાં સામેલ કરવા સંબંધે મતદાર યાદીની સમીક્ષાનું કામ જિલ્લા વહીવટી તંત્રે શરૂ કર્યું છે. આ કામગીરી દરમ્યાન અત્યાર સુધીમાં જે ત્રણ લાખથી વધુ બોગસ મતદારોને ઓળખી કાઢવામાં આવ્યા છે તેમનાં નામ એક જ વિધાનસભા ક્ષેત્રની મતદાર યાદીમાં બે ઠેકાણે નોંધાયેલાં હતાં. આ મતદારોનાં નામ મતદાર યાદીમાંથી કાઢવાનું કામ ચાલી રહ્યું છે. વારાણસીની નવી મતદાર યાદી પાંચમી જાન્યુઆરી ૨૦૧૫ના રોજ પ્રકાશિત કરવામાં આવશે.

છ લાખથી વધુ બોગસ મતદારો


જિલ્લા વહીવટી તંત્રને શંકા છે કે હજી પણ મોટી સંખ્યામાં બોગસ મતદારોનાં નામ વોટર્સ લિસ્ટમાં નોંધાયેલાં છે અને તેમનું કુલ પ્રમાણ છ લાખથી વધુનું છે. પિંડરામાં ૧,૧૨,૧૬૦; અજગરામાં ૧,૦૧,૪૫૬; શિવપુરમાં ૮૭,૧૪૦; રોહનિયામાં ૮૪,૭૫૭; વારાણસી ઉત્તરમાં ૬૧,૭૯૫; વારાણસી દક્ષિણમાં ૪૨,૮૬૬; કેન્ટમાં ૬૫,૯૬૯ અને સેવાપુરીમાં ૯૦,૯૪૨ મતદારો બોગસ હોવાની સંભાવના છે.

નરેન્દ્ર મોદીની સરસાઈ

વારાણસી સંસદીય મતવિસ્તારમાંથી નરેન્દ્ર મોદીએ આમ આદમી પાર્ટીના અરવિંદ કેજરીવાલને ૩,૭૧,૭૮૪ મતોથી હરાવ્યા હતા. કૉન્ગ્રેસના ઉમેદવાર અજય રાય ૭૫,૬૧૪ મતો મેળવીના ત્રીજા નંબરે, બહુજન સમાજ પાર્ટીના વિજય પ્રકાશ જયસ્વાલ ૬૦,૫૭૯ મતો મેળવીને ચોથા નંબરે અને સમાજવાદી પાર્ટીના કૈલાસ ચોરસિયા ૪૫,૨૯૧ મતો મેળવીને પાંચમા સ્થાને રહ્યા હતા.

ચૂંટણી સામે પડકાર

ભારતીય જનતા પાર્ટી સિવાયના પક્ષોએ નરેન્દ્ર મોદીને મોટા માર્જિનથી મળેલી જીત માટે જાતજાતના આક્ષેપો કર્યા હતા. મતદારોને ભેટ આપીને લલચાવવા ઉપરાંત સોગંદનામામાં પત્ની જશોદાબહેનની આવકની માહિતી ન આપવા જેવા આક્ષેપો નરેન્દ્ર મોદી પર કરીને કૉન્ગ્રેસના ઉમેદવાર અજય રાયે તો વડા પ્રધાનની વારાણસીમાંથી ચૂંટણીને પડકારતી એક અરજી પણ અલાહાબાદ હાઈ કોર્ટમાં કરી છે.

હાઈ કોર્ટમાં આ અરજીની સુનાવણી ચાલી રહી છે.

કઈ રીતે બહાર આવ્યાં બોગસ મતદારોનાં નામ?

બોગસ મતદારોનાં નામ કાઢીને નવા મતદારોનાં નામ વોટર્સ લિસ્ટમાં ઉમેરવા માટે વારાણસી જિલ્લાનાં ૮ વિધાનસભા ક્ષેત્રોનાં ૧૧૩૬ પોલિંગ સેન્ટર્સમાંના ૨૫૫૩ પોલિંગ બૂથ પર ફરજ બજાવી ચૂકેલા બૂથ લેવલ ઑફિસરોએ ઘરે-ઘરે જઈને મતદાતાઓની ખરાઈ કરી હતી. એના પગલે બોગસ વોટર્સનો આટલો મોટો ચોંકાવનારો આંકડો ધ્યાનમાં આવ્યો છે.

સૌથી વધુ ૮૧,૬૯૭ બોગસ મતદારો કેન્ટ વિધાનસભા ક્ષેત્રમાંથી મળી આવ્યા હતા. વારાણસી ઉત્તરમાંથી ૭૦,૬૮૪; વારાણસી દક્ષિણમાંથી ૬૯,૩૯૭; પિંડરામાંથી ૩૫,૯૮૨; રોહનિયામાંથી ૧૯,૬૫૯; અજગરામાંથી ૧૫,૨૮૫; શિવપુરમાંથી ૧૦,૯૮૧ અને સેવાપુરીમાંથી ૭૩૭૨ બોગસ મતદારોને શોધી કાઢવામાં આવ્યા હતા.