31 May, 2025 10:04 AM IST | Kanpur | Gujarati Mid-day Correspondent
ગઈ કાલે કાનપુરમાં નરેન્દ્ર મોદીને તેમના ચિત્રવાળી ફોટોફ્રેમ ભેટ આપતા ઉત્તર પ્રદેશના મુખ્ય પ્રધાન યોગી આદિત્યનાથ.
વડા પ્રધાન નરેન્દ્ર મોદી ગઈ કાલે ઉત્તર પ્રદેશના કાનપુરમાં પહોંચ્યા હતા. ત્યાં તેમણે ૪૭,૬૦૦ કરોડ રૂપિયાના ૧૭ પ્રોજેક્ટ્સનું લોકાર્પણ અને શિલાન્યાસ કર્યાં હતાં. એમાં રેલવે-બ્રિજ, ફાયર-સ્ટેશન અને ટ્રીટમેન્ટ પ્લાન્ટ જેવા પ્રોજેક્ટ્સ સામેલ છે. ત્યાર બાદ નરેન્દ્ર મોદીએ કાનપુરમાં જાહેર સભાને સંબોધી હતી જેમાં તેમણે કહ્યું હતું કે...
ગઈ કાલે કાનપુર મેટ્રોના નવા અન્ડરગ્રાઉન્ડ સેક્શનમાં પ્રવાસ કરતા લોકોએ ઑપરેશન સિંદૂર બદલ નરેન્દ્ર મોદીનો આભાર માનતાં બૅનર-પોસ્ટર સાથે રાખ્યાં હતાં
• આ વિકાસ-કાર્યક્રમ ૨૪ એપ્રિલે યોજાવાનો હતો, પરંતુ પહલગામ હુમલાને કારણે એને રદ કરવો પડ્યો. આખી દુનિયાએ હુમલાના બદલાને ઑપરેશન સિંદૂરના રૂપમાં જોયો છે. આપણે પાકિસ્તાનમાં આતંકવાદીઓનાં ઠેકાણાં નષ્ટ કરી દીધાં. આપણી સેનાએ એવી બહાદુરી બતાવી કે પાકિસ્તાની સેના યુદ્ધ બંધ કરવા આજીજી કરવા લાગી હતી. જો હું કાનપુરિયા અંદાજમાં કહું તો – દુશ્મન કહીં ભી હો, હૌંક દિયા જાએગા. આપણા ભારતીય હથિયારો અને બ્રહ્મોસ મિસાઇલે દુશ્મનના ઘરમાં ઘૂસીને સેંકડો કિલોમીટર અંદર જઈને તબાહી મચાવી છે.
• ઑપરેશન સિંદૂર હજી પૂરું થયું નથી. ભારતે આતંકવાદ સામેની લડાઈમાં ત્રણ સિદ્ધાંતો નક્કી કર્યા છે. દરેક આતંકવાદી હુમલાનો યોગ્ય જવાબ આપવામાં આવશે. સમય, પ્રતિક્રિયા આપવાની રીત અને પ્રતિક્રિયાની પરિસ્થિતિઓ આપણાં સૈન્ય દળો દ્વારા નક્કી કરવામાં આવશે. ભારત હવે ઍટમબૉમ્બની ધમકીથી ડરશે નહીં. ભારત આતંકના માસ્ટર અને આતંકને સમર્થન આપતી સરકારને એક જ નજરે જોશે.
• સંરક્ષણક્ષેત્રમાં સ્વનિર્ભરતામાં ઉત્તર પ્રદેશ મોટી ભૂમિકા ભજવી રહ્યું છે અને ધીમે-ધીમે શસ્ત્રોનું ગઢ બન્યું છે. જેમ કાનપુરમાં એક જૂની ઑર્ડનન્સ ફૅક્ટરી છે એમ અમે આવી ૭ ઑર્ડનન્સ ફૅક્ટરીઓને મોટી આધુનિક કંપનીઓમાં રૂપાંતરિત કરી છે. આજે દેશનો મોટો સંરક્ષણ કૉરિડૉર ઉત્તર પ્રદેશમાં બની રહ્યો છે. કાનપુર સંરક્ષણક્ષેત્રમાં આત્મનિર્ભર ભારતનું એક મોટું કેન્દ્ર છે. સંરક્ષણક્ષેત્રની મોટી કંપનીઓ અમેઠીમાં પરંપરાગત ઉદ્યોગોનું સ્થાન લઈ રહી છે. આ બ્રહ્મોસ મિસાઇલનું નવું સરનામું ઉત્તર પ્રદેશ બન્યું છે.