22 June, 2026 12:59 PM IST | Washington | Gujarati Mid-day Correspondent
નરેન્દ્ર મોદી
અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનલ્ડ ટ્રમ્પે ફરી એક વાર ભારતના વડા પ્રધાન નરેન્દ્ર મોદીની લીડરશિપનાં મુક્તકંઠે વખાણ કરીને વૈશ્વિક રાજકારણમાં ગરમાવો લાવી દીધો છે. પ્રખ્યાત મીડિયા આઉટલેટ Axiosને આપેલા એક ખાસ ઇન્ટરવ્યુમાં ડોનલ્ડ ટ્રમ્પે નરેન્દ્ર મોદીને ‘ગ્રેટ લીડર’ અને ‘વેરી ટફ ગાય’ તરીકે વર્ણવ્યા છે. ટ્રમ્પે સ્વીકાર્યું કે નરેન્દ્ર મોદીએ વર્ષોની રાજકીય અનિશ્ચિતતા અને અસ્થિરતા પછી ભારતમાં એક મજબૂત અને સ્થિર શાસન આપ્યું છે.
ઇન્ટરવ્યુ દરમ્યાન ભારતના ભૂતકાળના રાજકીય ઇતિહાસ પર પ્રકાશ પાડતાં ટ્રમ્પે જણાવ્યું હતું કે ‘મેં મારી આખી જિંદગી ભારતને નિહાળ્યું છે. ત્યાં સરકારો અને નેતાઓ સતત બદલાતાં રહેતાં હતાં. કોઈ માત્ર ૬ મહિના માટે પ્રાઇમ મિનિસ્ટરની ખુરસી પર બેસતું તો કોઈ માંડ એક વર્ષ માટે, પરંતુ અચાનક નરેન્દ્ર મોદી આવ્યા અને તેઓ ત્યાં ૧૨ વર્ષ કરતાં વધુ સમયથી ખૂબ જ મજબૂતાઈથી મક્કમ થઈને ટકી રહ્યા છે.’
પ્રાઇમ મિનિસ્ટર નરેન્દ્ર મોદીની અનોખી કાર્યશૈલી અને વ્યક્તિત્વ વિશે વાત કરતાં ટ્રમ્પે ઉમેર્યું હતું કે ‘તેઓ અદ્ભુત ગંભીરતા અને શાંતિ સાથે નેતૃત્વ કરે છે. તેઓ બહારથી ખૂબ શાંત દેખાય છે છતાં વાસ્તવમાં બિલકુલ શાંત વ્યક્તિ નથી પરંતુ ભારે કડક અને મજબૂત નેતા છે અને હું તેમને બહુ નજીકથી ઓળખું છું.’
કલકત્તાના પોર્ટ પરથી સંરક્ષણક્ષેત્રે આત્મનિર્ભરતાનો મોટો શંખનાદ : સ્ટીલ્થ ફ્રિગેટ દુનાગિરિ, સંશોધક અને અગ્રય કાફલામાં થયાં સામેલ
ભારતીય નૌસેનાની સૈન્ય-તાકાત અને દરિયાઈ સરહદોની સુરક્ષાને વધુ લોખંડી બનાવવા માટે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ગઈ કાલે કલકત્તાના શ્યામા પ્રસાદ મુખરજી પોર્ટ ખાતે એક મોટી સિદ્ધિ દેશને સમર્પિત કરી હતી. નરેન્દ્ર મોદીએ સંપૂર્ણપણે ભારતમાં જ ડિઝાઇન અને નિર્મિત થયેલાં ૩ અત્યાધુનિક નૌકાદળનાં જહાજો સ્ટીલ્થ ફ્રિગેટ દુનાગિરિ (Dunagiri), લાર્જ સર્વે વેસલ સંશોધક (Sanshodhak) અને ઍન્ટિ-સબમરીન વૉરફેર ક્રાફ્ટ અગ્રય (Agray)ને નૌસેનાના કાફલામાં સત્તાવાર રીતે સામેલ કર્યાં છે. આ ત્રણેય જહાજો સમુદ્રમાં ભારતીય સેનાની લડાયક, હાઇડ્રોગ્રાફિક રણ અને અન્ડરવૉટર સબમરીનવિરોધી ક્ષમતાઓમાં અભૂતપૂર્વ વધારો કરશે.armn