13 August, 2020 09:07 AM IST | Mumbai Desk | Agencies
ભગવાન શામળિયાજીનાં દર્શન માટે ભાવિકો વરસાદ વચ્ચે ઊમટ્યા
અમદાવાદ : (મિડ-ડે પ્રતિનિધિ) પર્વ પ્રસંગે ભગવાન શ્રી શામળિયાજીનાં દર્શન કરવા માટે વરસતા વરસાદમાં પણ ભાવિકો ઊમટ્યા હતા અને ભગવાનનાં દર્શન કરીને ધન્યતા અનુભવી હતી. ભગવાન શ્રી શામળિયાજીને કરવામાં આવેલો સોનાની વાંસળી સાથે સ્પેશ્યલ ડિઝાઇન કરેલાં સોનેરી વસ્ત્રોનો શણગાર ભાવિકોમાં આકર્ષણનું કેન્દ્ર બન્યો હતો.
શ્રી શામળાજી વિષ્ણુ મંદિર ટ્રસ્ટના મૅનેજર કનુભાઈ પટેલે ‘મિડ ડે’ને કહ્યું હતું કે ‘ભગવાનનું મંદિર ભાવિકો માટે સરકારી ગાઇડલાઇન મુજબ ખુલ્લું રખાયું હતું. ભગવાનનાં દર્શન કરવા માટે ભાવિકો સવારથી આવ્યા હતા. સાંજ સુધીમાં અઢી હજારથી વધુ ભાવિકોએ ભગવાનનાં દર્શન કર્યાં હતાં. જન્માષ્ટમીના પર્વને લઈને ભગવાનને ડિઝાઇન કરેલા વાઘા તેમ જ સોનાની વાંસળી શણગારમાં મુકાઈ હતી.’