ગુડ બાય મિશન મંગળ

03 October, 2022 09:49 AM IST  |  New Delhi | Gujarati Mid-day Correspondent

ભારતે માત્ર ૪૫૦ કરોડના ખર્ચે માર્શ પર મોકલેલા અવકાશયાને પૃથ્વી સાથેનો સંપર્ક ગુમાવ્યો

પ્રતીકાત્મક તસવીર (તસવીર સૌજન્ય : આઇસ્ટૉક)

ભારતે પાંચમી નવેમ્બર ૨૦૧૩ના રોજ મંગળ ગ્રહની શોધખોળ માટે માર્શ ઑર્બિટર મિશન અવકાશયાન મોકલ્યું હતું. જે છ મહિના સુધી કામ આપશે એ પ્રમાણે બનાવાયું હતું. હવે આઠ વર્ષ બાદ એણે ગ્રાઉન્ડ સ્ટેશન સાથેનો સંપર્ક ગુમાવી દીધો છે એથી આ અવકાશયાનનું આયુષ્ય ખતમ થઈ ગયું છે કે શું એ વિશે ઇસરો વિગતો મેળવી રહી છે. અવકાશયાનની બૅટરીની શક્તિ પૂરી થઈ ગઈ છે અથવા ઍન્ટેનાની દિશા બદલાતાં એનો સંદેશાવ્યવહાર ખોરવાઈ ગયો છે. જોકે મોટા ભાગનાં સૂત્રો કહે છે કે અવકાશયાનનો ફરી સંપર્ક કરવો અશક્ય છે. ઇસરોના યુઆર સૅટેલાઇટ સેન્ટરના ડિરેક્ટરે ૨૭ ડિસેમ્બરે આ વિશે વાત કરતાં જણાવ્યું હતું કે ટૂંક સમયમાં એની સત્તાવાર ઘોષણા કરવામાં આવશે. 

ઇસરોના એક વૈજ્ઞાનિકે કહ્યું હતું કે એપ્રિલ ૨૦૨૨માં એક લાંબું ગ્રહણ હતું. ઉપગ્રહને ગ્રહણમાંથી બહાર આવવા માટે જરૂરી કામો કરવા માટે ડિઝાઇન કરવામાં આવ્યો હતો. તેણે ભૂતકાળમાં આવું કર્યું પણ છે. એવું બની શકે કે ગ્રહણમાંથી બહાર નીકળતી વખતે એનું બળતણ ખતમ થઈ ગયું હોય. બીજું કારણ એ હોઈ શકે કે ગ્રહણમાંથી બહાર નીકળતી વખતે દિશા બદલવા માટે રોલ-સ્પિનનો આદેશ આપવામાં આવે છે જેના કારણે પૃથ્વી તરફનું ઍન્ટેના દિશા બદલી શકે છે. આ અવકાશયાને પહેલા વર્ષમાં મંગળ ગ્રહ વિશેનો એક ટીબી ડેટા અને પાંચ વર્ષ પૂરાં કર્યા ત્યારે પાંચ ટીબી ડેટા મોકલ્યો હતો. ભારતે માત્ર ૪૫૦ કરોડ રૂપિયામાં જ આ અવકાશયાનને મંગળગ્રહ પર મોકલ્યું હતું એની સરખામણીમાં અમેરિકાએ ૧૦ ગણો વધુ ખર્ચ કર્યો હતો. 

national news