17 June, 2021 02:02 PM IST | mumbai | Gujarati Mid-day Online Correspondent
પ્રતીકાત્મક ફોટો
કોંગ્રેસનો સોશ્યલ મીડિયા ટૂલકીટનો વિવાદ અટકવાનું નામ નથી લઈ રહ્યો. ટ્વિટરે ભાજપના પ્રવક્તા સંબિત પાત્રા દ્વારા ટુલકીટને લઈ કરવામાં આવેલી પોસ્ટને પાયાવિહોણી ગણાવી હતી. આ મામલે હવે મોટા સમાચાર સામે આવ્યા છે. સુત્રો અનુસાર દિલ્હી પોલીસની વિશેષ સેલની એક વરિષ્ઠ ટીમે કોંગ્રેસના ટૂલકીટ કેસમાં ટ્વિટર ઇન્ડિયાના મેનેજિંગ ડિરેક્ટર (એમડી) મનીષ મહેશ્વરીને 31 મેના રોજ પુછપરછ કરી હતી.
દિલ્હી પોલીસના વિશેષ સેલ દ્વારા વાયરલ થયેલા કોંગ્રેસના ટૂલકીટ ટ્વિટ મામલે ટ્વિટર ઈન્ડિયાને નોટિસ મોકલી હતી. નોટિસમાં દિલ્હી પોલીસની વિશેષ ટીમે ભાજપના પ્રવક્તા સંબિત પાત્રા મેનિપુલેટિવ દર્શાવવા પર સ્પષ્ટતા માગી હતી. મળતી માહિતી મુજબ દિલ્હી પોલીસની બે ટીમો લાડો સરાઇ અને દિલ્હીના ગુરુગ્રામ સ્થિત ટ્વિટર ઓફિસ પર પણ પહોંચી હતી.
ભાજપે ગત મહિને કોંગ્રેસ પર આરોપ લગાવ્યો હતો કે પાર્ટીએ સોશિયલ મીડિયા માટે ટૂલકીટ બનાવી છે. ભાજપનો આરોપ છે કે કોંગ્રેસે આ ટૂલકિટ દ્વારા દેશની અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીની છબી ખરાબ કરવાનો પ્રયાસ કર્યો છે.
જોકે કોંગ્રેસે આ આરોપોને નકારી દીધા હતા. પક્ષ તરફથી કહેવામાં આવ્યું હતું કે ભાજપ તેને બદનામ કરવા નકલી ટૂલકીટનો આશરો લે છે. નોંધનીય છે કે કોંગ્રેસે ટૂલકીટ મામલે ભાજપના પ્રવક્તા સંબિત પાત્રા અને છત્તીસઢના પૂર્વ મુખ્યપ્રધાન રમણ સિંહ વિરુદ્ધ કેસ પણ દાખલ કર્યો છે.