19 March, 2020 07:00 PM IST | Delhi | Gujarati Mid-day Online Correspondent
શુક્રવારે સવારે તિહાર જેલ નંબર-3 માં ચારેય આરોપીઓને ફાંસી આપવામાં આવશે.
નિર્ભયા કેસના ચાર મુખ્ય આરોપી વિનય કુમાર શર્મા, પવન કુમાર ગુપ્તા, મુકેશ સિંહ અને અક્ષય કુમાર સિંહને શુક્રવાર (20 માર્ચ) એ રોજ સવારે 5.30 વાગે તિહાર જેલમાં ફાંસી આપવામાં આવશે. ચારેય આરોપીની ફાંસી પર રોક લગાડવામાં આવે તેવી અરજી દિલ્હીની પટિયાલા હાઉસ કોર્ટે નામંજુર કરતા તિહાર જેલમાં ફાંસીની તૈયારીઓએ જોર પકડયું છે.
આરોપીઓની ફાંસી રોકવાની અરૂજી નામંજુર થતા તેમના પરિવારજનો નિરાશ થયા હતા. જ્યારે બીજી બાજુ નિર્ણય આવ્યા બાદ નિર્ભયાની માતા કોર્ટની બહાર આવ્યા બાદ રોઈ પડયા હતા અને કહ્યું હતું કે, આખરે સાત વર્ષ પછી મારી દીકરીને ન્યાયય મળી રહ્યો છે.
નિર્ભયા કેસના એક આરોપી મુકેશ સિંહના પરિવારના સભ્યો તેને મળવા તિહાર જેલ પહોચ્યા હતા.. ચારેય આરોપીને તિહાર જેલ નંબર-3 માં શુક્રવારે સવારે 5.30 વાગે ફાંસી આપવામાં આવશે. કોર્ટના નિર્ણય બાદ આરોપીઓના વકીલ એ.પી.સિંહે કહ્યું હતું કે, ચારેય આરોપીઓને ભારત-પાકિસ્તાન બોર્ડર કે પછી ડૉકલામ (ભારત-ચાઈના બોર્ડર) મોકલી દો, પરંતુ ફાંસી નહીં આપો. બોર્ડર પર જઈને તેઓ સેવા કરશે. આ બાબતે હું એફિડેવિટ આપીશ.
નિર્ભયા કેસના આરોપીઓને ફાંસી ક્યારે મળશે તેની રાહ આખો દેશ જોઈ રહ્યો હતો. આખરે આજે દિવસ દરમ્યાન કોર્ટમાં અનેક ઉતાર-ચઢાવ બાદ નિર્ણય ફાંસીનો અંતિમ નિર્ણય આવ્યો હતો. કોર્ટના ફાંસીના નિર્ણયને સામાન્ય જનતાએ વધાવી લીધો છે.