28 December, 2018 09:22 AM IST | ઉત્તરપ્રદેશ
આતંકીઓના ઘરમાંથી મળી આવ્યા હથિયારો
NIA અને ATSની ટીમે કરેલા સંયુક્ત દરોડામાં આતંકી મુફ્તી સુહૈલના જાફરાબાદના ઘરમાંથી રોકેટ લોન્ચર મળી આવ્યું હતું. તપાસ એજન્સીઓને આશંકા છે કે આ રોકેટ લોન્ચર અમરોહામાં બનાવાયું હતું. તપાસ દરમિયાન જે માહિતી સામે આવી રહી છે તે પ્રમાણે આ રોકેટ લોન્ચર સુહૈલ અમરોહાથી દિલ્હી લઈ ગયો હતો. શક્યતા છે કે આ રોકેટ લોન્ચર સઈદ અને રઈસની મદદથી તૈયાર કરાયું હોય.
ISISના મોડ્યુલનો પર્દાફાશ કરતા NIA અને ATSએ સુહૈલના દિલ્હીના ઘરમાંથી મોટી સંખ્યામાં હથિયારો જપ્ત કર્યા હતા. જેમાં દેશી રોકેટ લોન્ચર પણ મળી આવ્યું હતું.
હવે ગુપ્તચર વિભાગની ટીમ આ રોકેટ લોન્ચર અમરોહામાં બન્યું હોવાની આશંકા સેવી રહી છે. જો કે પકડાયેલા આતંકીઓની આ મામલે પૂછપરછ થવાની બાકી છે. જો કે શક્યતાના આધારે તપાસ એજન્સીઓએ સઈદ અને રઈસ નામના ભાઈઓની ધરપકડ કરી છે, કારણ કે આ બંને ભાઈઓ વેલ્ડિંગનું કામ કરતા હતા.
મનાઈ રહ્યું છે કે બંને ભાઈઓ સાથે સુહૈલે સારા સંબંધ બનાવીને તેમની પાસે જ રોકેટ લોન્ચર બનાવડાવ્યું હતું. સૂત્રો દ્વારા મળતી માહિતી પ્રમાણે સુહૈલ પોતાના સાથી ઈર્શાદની રિક્ષામાં સામાન મૂકીને બંને ભાઈઓની દુકાન સુધી પહોંચાડતો હતો.
ક્યાં કઈ એકે-47 ?
શંકાસ્પદ આતંકી સુહૈલના ઘરમાં એકે 47 હોવાની પણ NIA અને ATSને માહિતી મળી હતી, પરંતુ તપાસમાં એકે 47 મળી નથી. આ મામલે સુહૈલની વારંવાર પૂછપરછ થઈ રહી છે. ગુપ્તચર એજન્સીઓ માટે હવે સવાલ છે કે એકે 47 ગઈ ક્યાં. એટલું જ નહીં આતંકીના ઘરમાંથી મળી આવેલી ડાયરીમાં વિસ્ફટકો માટે કોડ વર્ડ લખેલા પણ મળી આવ્યા છે.
ઉલ્લેખનીય છે કે બુધવારે કરાયેલા દરોડામાં ગુપ્તચર એજન્સીઓને માહિતી મળી હતી કે સુહૈલના ઘરમાંથી એકે 47 મળી આવશે. જો કે તપાસ એજન્સીઓને ફક્ત વિસ્ફોટકો જ મળ્યા છે. અને એકે 47 ગાયબ છે. પૂછપરછ દરમિયાન પણ સુહૈલે એકે 47 અંગે કોઈ માહિતી નથી આપી. સૂત્રો દ્વારા મળતી માહિતી પ્રમાણે તપાસ એજન્સીઓ પાસે એકે 47 અંગેની પાકી માહિતી હતી. જો કે રાઈફલ ન મળતા હવે તપાસ એજન્સીઓ પણ ચોંકી ગઈ છે.