દિલ્હીઃ હોટલમાં બપોરે ફરી ધુમાડા દેખાતા લોકો દોડતા થયા

12 February, 2019 03:48 PM IST  |  દિલ્હી

દિલ્હીઃ હોટલમાં બપોરે ફરી ધુમાડા દેખાતા લોકો દોડતા થયા

બપોરે ફરી નીકળ્યા ધૂમાડા

દિલ્હીની હોટેલમાં બપોરે ફરી ધૂમાડા નીકળતા લોકો દોડતા થયા છે. કરોલગાબ વિસ્તારમાં આવેલી હોટેલ અર્પિલ પેલેસમાં મોડી રાત્રે આગ લાગી હતી. જેમાં 17 લોકોના મોત નીપજ્યા હતા. ભારે જહેમત બાદ આગ કાબુમાં લેવાઈ હતી. જો કે બપોરે ફરી હોટેલના ઈમારતમાંથી ધૂમાડા નીકળતા લોકો દોડતા થયા છે.

ઉલ્લેખનીય છે કે 17 મૃતકોમાં સાત પુરુષ, એક મહિલા અને એક બાળકનો સમાવેશ થાય છે. મૃતકોમાં મોટા ભાગના દિલ્હીમાં ફરવા આવેલા ટૂરિસ્ટ અને બીજા લોકો હતા. મ્યાનમાર અને કોચીથી આવેલા લોકોનો પણ તેમાં સમાવેશ થાય છે. પ્રત્યક્ષદર્શીઓના જણાવ્યા પ્રમાણે આગથી બચવા માટે અનેક લોકો તકિયા લઈને ચૌથા માળેથી કૂદ્યા. ઘટના સ્થળ પર દિલ્હીના મુખ્યમંત્રી કેજરીવાલ પહોંચ્યા અને તેમણે ઘટના મામલે દુઃખ વ્યક્ત કરતા મૃતકોના પરિવારજનોને પાંચ-પાંચ લાખ રૂપિયાના વળતરનું એલાન કર્યું છે. થોડા સમય બાદ દિલ્હીના ઉપરાજ્યપાલ નજીબ જંગ પણ પહોંચ્યા અને સ્થિતિનો તાગ મેળવ્યો.

અકસ્માતમાં ઈનકમ ટેક્સના કમિશ્નર સુરેશ કુમારનું પણ મોત થયું છે. તેઓ મૂળ પંતકૂલાના હતા અને દિલ્હીમાં ફરજ બજાવતા હતા.ઘાયલોમાં એક વિદેશી મહિલા પણ સામેલ છે જે મ્યાંમારના હતા. આ મહિલા આગથી બચવા માટે કૂદી ગઈ હતી. રામ મનોહર લોહિયા હૉસ્પિટલમાં કુલ 13 લોકોને લાવવામાં આવ્યા હતા, તે તમામના મોત થયા હતા. જેમાંથી પાંચ લોકોની ઓળખ થઈ છે. 13માંથી 8 લોકોનાં મોત ગુંગળાઈ જવાના કારણે થયા છે અને બાકીના લોકોનાં સળગી જવાના કારણે. હોટેલમાંથી કૂદનારા લોકોમાં એક ટૂરિસ્ટ મહિલા ગાઈડનો પણ સમાવેશ થાય છે, જેનો ઈલાજ ચાલી રહ્યો છે.

આ પણ વાંચોઃ દિલ્હી હોટેલમાં મોતની આગઃ મૃતકોના પરિવારજનોને પાંચ લાખના વળતરનું એલાન

વહેલી સવારે આગ લાગ્યા બાદ ફાયર વિભાગ ઘટના સ્થળે પહોંચ્યું હતું અને બચાવકાર્ય હાથ ધર્યું હતું. જાણકારી પ્રમાણે હોટેલ અર્પિત પેલેસમાં વહેલી સવારે સાડા ચાર વાગ્યે આગ લાગી. લોકો કાંઈ સમજી શકે તે પહેલા, આગ ફેલાઈ ગઈ. જે બાદ લોકોમાં ભયનો માહોલ છવાઈ ગયો. ચીફ ફાયર ઑફિસરના પ્રમાણે 2 લોકો ઈમારત પરથી કૂદી પડ્યા. હોટેલમાં કેટલાક લોકો ફસાયા હોવાની પણ આશંકા હોવાથી સર્ચ ઑપરેશન હાથ ધરવામાં આવ્યું છે.

national news delhi