17 December, 2020 07:42 PM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
તસવીર સૌજન્યઃ એએનઆઈ
દિલ્હી વિધાનસભા (Delhi Assemble) સત્રમાં નવા કૃષિ કાયદાને લઇને મુખ્ય પ્રધાન અરવિંદ કેજરીવાલે (Arvind Kejriwal) મોદી સરકાર પર જોરદાર પ્રહાર કર્યા. આ દરમિયાન કેજરીવાલે કૃષિ કાયદાની કૉપી પણ ફાડી હતી.
કેજરીવાલે કહ્યું કે, સરકાર હજુ કેટલા જીવ લેશે? અત્યાર સુધી 20થી વધારે ખેડૂતો આ આંદોલનમાં શહીદ થઈ ચુક્યા છે. એક-એક ખેડૂત ભગત સિંહ બનીને આંદોલનમાં બેઠો છે. અંગ્રેજોથી પણ ખરાબ ના બને સરકાર. યોગી આદિત્યનાથે બરેલીમાં રેલી કરી અને ત્રણ બિલોના ફાયદા સમજાવવા લાગ્યા કે તમારી જમીન નહીં જાય, મંડી બંદ નહીં થાય.
તેમણે ઉમેર્યું કે, ભાજપવાળા જણાવે કે આ કાયદાના ફાયદા શું છે? ભાજપવાળાઓને એક લાઇન ગોખાવી દેવામાં આવી છે કે, ખેડૂત દેશમાં ક્યાંય પણ પાક વેચી શકે છે. હવામાં વાત કરવાથી શું થશે? ખેડૂતોને નહીં ભાજપાઈઓને ભ્રમિત કરવામાં આવ્યા છે, ભાજપાઈઓને અફીણ ખવરાવી દેવામાં આવ્યું છે. અરવિંદ કેજરીવાલે કહ્યું કે, સુપ્રીમ કૉર્ટમાં અમારા વકીલે કેન્દ્ર સરકારને જવાબદાર ગણાવી છે. કોરોનાકાળમાં ઑર્ડિનેંસ પાસ કર્યું? પહેલીવાર રાજ્યસભામાં વૉટિંગ વગર 3 કાયદાને પાસ કરી દેવામાં આવ્યા? આ કાયદા ભાજપના ચૂંટણી ફંડ માટે બન્યા છે.
કેજરીવાલે વધુમાં કહ્યું કે, દિલ્હી વિધાનસભા કેન્દ્રના કૃષિ કાયદાને ફગાવી રહી છે. કેન્દ્ર સરકાર અંગ્રેજોથી પણ ખરાબ ના બને અને કાયદા પાછા ખેંચે. દિલ્હી વિધાનસભામાં કૃષિ કાયદાઓને નિરસ્ત કરવાનો સંકલ્પ પત્ર સ્વીકાર કરી લેવામાં આવ્યો છે. અરવિંદ કેજરીવાલે કહ્યું કે, “ભાજપવાળા કહે છે કે, ખેડૂતો પોતાનો પાક આખા દેશમાં વેચી શકે છે. ધાન્યનો ટેકાનો ભાવ 1868 રૂપિયા છે, આ બિહાર અને ઉત્તર પ્રદેશમાં 900-1000 રૂપિયામાં વેચાઇ રહ્યું છે. મને જણાવી દો કે આ ખેડૂતો દેશમાં પોતાનો પાક ક્યાં વેચીને આવ્યા છે?”