22 July, 2021 10:39 AM IST | Raipur | Agency
પ્રતીકાત્મક તસવીર સૌજન્ય મિડ-ડે
રાયપુર : છત્તીસગઢ રાજ્યની રાજધાની રાયપુરની જિલ્લા હૉસ્પિટલમાં રાત્રે ૮ વાગ્યા બાદ ૩ બાળકોનાં મોત થયાં હતાં. ત્યાર બાદ પરિવારે ડૉક્ટરો પર બેદરકારીનો આરોપ લગાવતાં હોબાળો મચાવ્યો હતો. પરિવારનો આરોપ હતો કે તબિયત બગડવા પર બાળકોને ઑક્સિજન લગાવ્યા વગર બીજી હૉસ્પિટલમાં ખસેડવામાં આવી રહ્યાં હતાં. તો હૉસ્પિટલમાં રહેલા એક દરદીના પરિવારે દાવો કર્યો છે કે ૩ નહીં, પરંતુ ૭ બાળકોનાં મોત થયાં છે.
તેમણે કહ્યું કે મેં મારી આંખોથી એક પછી એક ૭ બાળકોના મૃતદેહો લઈ જતા જોયા. એક બાળકના પિતા ઘનશ્યામ સિંહે આરોપ લગાવ્યો છે કે તેના બાળકની સ્થિતિ બગડ્યા બાદ ડૉક્ટરોએ પ્રાઇવેટ હૉસ્પિટલમાં લઈ જવા કહ્યું.
બાળકની સ્થિતિ ગંભીર હતી. તેને લઈ જવા માટે ઑક્સિજન સિલિન્ડરની જરૂર પડી, પરંતુ આપવામાં આવ્યું નહીં. તેઓ સતત હૉસ્પિટલ મૅનેજમેન્ટના લોકોથી સિલિન્ડરની માગણી કરતા રહ્યા. આ દરમિયાન ભરતી થયેલાં વધુ બે બાળકોનાં મોત થઈ ગયાં અને પરિવારનો ગુસ્સો ડૉક્ટરો પર ફૂટી પડ્યો હતો.