07 September, 2020 09:32 AM IST | New Delhi | Agencies
પ્રતીકાત્મક તસવીર
દેશમાં છેલ્લા ૨૪ કલાકમાં રેકૉર્ડ ૯૦,૬૩૫ નવા કેસ નોંધાવા સાથે કોરોના વાઇરસ સંક્રમિતોનો આંકડો ૪૧ લાખને પાર કરી ગયો જ્યારે કે ૩૧,૮૦,૮૬૫ લોકો સારવાર બાદ સ્વસ્થતા પ્રાપ્ત કરતાં દેશનો રિકવરી રેટ ગઈ કાલે ૭૭.૩૨ ટકા નોંધાયો હોવાનું કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે જણાવ્યું હતું. બીજી તરફ એક દિવસમાં ૭૦,૦૦૦ કરતાં વધુ પેશન્ટને ડિસ્ચાર્જ કરીને ભારતે કોવિડ-19 પેશન્ટની રિકવરીમાં વિક્રમ સર્જ્યો હોવાનું આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયે જણાવ્યું હતું.
શનિવારે પાંચમી સપ્ટેમ્બરે એક દિવસમાં સૌથી વધુ ૭૦,૦૭૨ પેશન્ટને રિકવરી બાદ ડિસ્ચાર્જ આપવામાં આવતાં દેશનો રિકવરી રેટ ૭૭.૨૩ ટકા નોંધાયો હતો.
કોરોના વાઇરસના કુલ ૪૧,૧૩,૮૧૧ કેસ સામે મરણાંક ૭૦,૬૨૬ ઉપર રહ્યો છે. છેલ્લા ૨૪ કલાકમાં દેશમાં કુલ ૧૦૬૫ મૃત્યુ નેંધાયા છે, જે ૧.૭૨ ટકાનો રિકવરી રેટ સૂચિત કરે છે. દેશમાં કોવિડ-19ના એક્ટિવ કેસનો આંક ૮,૬૨,૩૨૦ ઉપર નોંધાયો છે, જે કુલ કેસના ૨૦.૯૬ ટકા સૂચિત કરે છે.
દેશમાં કોવિડ-19ના કેસનો આંકડો સાતમી ઑગસ્ટે ૨૦ લાખ, ૨૩ ઑગસ્ટે ૩૦ લાખ અને ૫ સપ્ટેમ્બરે ૪૦ લાખને આંબી ગયો હતો.
આઇસીએમઆરના જણાવ્યા મુજબ પાંચમી સપ્ટેમ્બરના ૧૦,૯૨,૬૫૪ સેમ્પલના ટેસ્ટિંગ સાથે અત્યાર સુધીમાં કુલ ૪,૮૮,૩૧,૧૪૫ સેમ્પલનું ટેસ્ટિંગ કરાયું હતું.