30 November, 2020 10:30 AM IST | Chennai | Gujarati Mid-day Correspondent
પ્રતીકાત્મક તસવીર
કોરોના-વિરોધી વૅક્સિનના સંશોધનનો વિષય વધુ ગૂંચવાઈ રહ્યો છે. કોવિશીલ્ડ વૅક્સિનની ટ્રાયલમાં સામેલ વ્યક્તિએ તેના આરોગ્ય અને સ્વસ્થતા પર ગંભીર અસરો થઈ હોવાનો દાવો કર્યો છે. ચેન્નઈની એ વ્યક્તિએ વૅક્સિનની ટ્રાયલમાં સામેલ થયા પછી તેને ન્યુરો બ્રેકડાઉન થયું હોવાના અને લોકોને ઓળખવાની ક્ષમતા ગુમાવી બેઠો હોવાના દાવા કર્યા હતા. એ વ્યક્તિએ સીરમ ઇન્સ્ટિટ્યૂટ ઑફ ઇન્ડિયાને લીગલ નોટિસ મોકલીને નુકસાની પેટે પાંચ કરોડ રૂપિયાનું વળતર માગ્યું છે. એ વ્યક્તિએ તેનો દાવો રજૂ કરતાં તમામ ટેસ્ટ્સ કોવિશીલ્ડ વૅક્સિનને કારણે તબિયત બગડી હોવાનું સૂચવે છે.
એસ્ટ્રાઝેનેકા ફાર્માસ્યુટિકલ કંપની અને ઑક્સફર્ડ યુનિવર્સિટીએ ડેવલપ કરેલી વૅક્સિનની ટ્રાયલમાં સામેલ થનાર વ્યક્તિએ એ વૅક્સિન કૅન્ડિડેટ સુરક્ષિત નહીં હોવાનો દાવો કરતાં તેને ટેસ્ટિંગ, ઉત્પાદન અને વિતરણ માટે અપાયેલી મંજૂરી રદ કરવાની માગણી કરવામાં આવી છે. એ વ્યક્તિને ટ્રાયલ માટે વૅક્સિન આપનારાઓમાં સીરમ ઇન્સ્ટીટ્યુટ ઑફ ઇન્ડિયા અને શ્રી રામચંદ્ર ઇન્સ્ટીટ્યુટ ઑફ હાયર એજ્યુકેશન ઉપરાંત સ્પોન્સર્સમાં ઇન્ડિયન કાઉન્સિલ ઑફ મેડિકલ રિસર્ચનો પણ સમાવેશ છે.