આખા દેશમાં કોરોના વૅક્સિન મફ્તમાં મળશે: સ્વાસ્થ્ય પ્રધાન ડૉ. હર્ષવર્ધન

02 January, 2021 12:51 PM IST  |  New Delhi | Gujarati Mid-day Online Correspondent

આખા દેશમાં કોરોના વૅક્સિન મફ્તમાં મળશે: સ્વાસ્થ્ય પ્રધાન ડૉ. હર્ષવર્ધન

ફાઈલ તસવીર

ભારતમાં કોરોના વાયરસ (COVID-19) વૅક્સિનનો ડ્રાય રન ઘણા રાજ્યોમાં સફળ રહ્યો છે. ત્યારે સામાન્ય જનતા માટે એક ખુશીના સમાચાર છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય પ્રધાન ડૉ. હર્ષવર્ધન (Dr. Harsh Vardhan)એ કહ્યું છે કે, આખા દેશમાં કોરોના વૅક્સિન મફ્તમાં મળશે.

આજે કેન્દ્રીય સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય તરફથી દેશના તમામ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં કુલ 116 જિલ્લામાં 259 જગ્યા પર COVID-19 અંગે ડ્રાય રનનું આયોજન થયું છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય પ્રધાન ડૉ. હર્ષવર્ધને દિલ્હીની જીટીબી હૉસ્પિટલ જઈને વેક્સીનના ડ્રાય રન વિશે માહિતી મેળવી હતી. ત્યારે તેમણે કહ્યું હતું કે, અફવા પર ધ્યાન ન આપશો. સુરક્ષિત અને અસરકારક વૅક્સિન અમારી પ્રાથમિકતા છે. પોલિયોના વેક્સિનેશન વખતે પણ ઘણી અફવાઓ ફેલાવાઈ હતી, પણ લોકોએ વેક્સિન લગાવડાવી અને આજે દેશ પોલિયોમુક્ત થઈ ચૂક્યો છે. વૅક્સિન દિલ્હીમાં જ નહીં, આખા દેશમાં ફ્રીમાં લગાડવામાં આવશે.

તમને જણાવી દઈએ કે, કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલય તરફથી શનિવારે જાહેર કરવામાં આવેલા આંકડા પ્રમાણે દેશમાં છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસના નવા 19,079 કેસ નોંધાયા છે. આ સાથે દેશમાં કોરોનાના કુલ કેસની સંખ્યા 1,03,05,788 થઈ ગઈ છે. છેલ્લા 24 કલાકમાં કોરોનાથી 224 લોકોએ જીવ ગુમાવ્યો છે. આ સાથે કોરોનાથી અત્યારસુધી કુલ 1,49218 લોકોનાં મોત થયા છે. દેશમાં હાલ કોરોનાના 2,50,183 સક્રિય કેસ નોંધાયેલા છે. આ સાથે દેશમાં અત્યારસુધી સાજા થયેલા દર્દીઓની સંખ્યા 99,06,387 છે. છેલ્લા 24 કલાકમાં 22,926 દર્દી સાજા થયા છે.

coronavirus covid19 national news