દેશમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 12 હજાર કેસ નોંધાયા, 78 લોકોનું મોત

07 February, 2021 10:47 AM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

દેશમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 12 હજાર કેસ નોંધાયા, 78 લોકોનું મોત

પ્રતીકાત્મક તસવીર

દેશમાં કોરોના વાઈરસ સંક્રમણની સંખ્યા સતત ઘટી રહી છે. આ સાથે જ કોરોનાથી સાજા થયેલા દર્દીઓની સંખ્યામાં પણ વધારો થઈ રહ્યો છે. દેશમાં કોરોનાનાં એક્ટિવ કેસો દોઢ ટકાથી પણ ઓછો થઈ ગયો છે. કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયના તાજેતરના આંકડા અનુસાર દેશમાં છેલ્લા 24 કલાકમાં કોરોના વાઈરસ સંક્રમણના 12,059 કેસ નોંધાયા છે. આ સમય દરમિયાન 78 લોકોના મોત નીપજ્યાં છે.

કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયના આંકડા અનુસાર દેશમાં કોરોના સંક્રમણના અત્યાર સુધી કુલ 1 કરોડ 8 લાખ 26 હજાર 363 કેસ નોંધાયા છે. જોકે એમાંથી 1 કરોડ 5 લાખ 22 હજાર 601 લોકો કોરોનાથી સાજા થયા છે. દેશમાં હાલ કોરોનાના 1 લાખ 48 હજાર 766 એક્ટિવ કેસ બાકી છે. ભારતમાં કોરોનાથી અત્યાર સુધી કુલ 1 લાખ 54 હજાર 996 લોકોનાં મોત નીપજ્યાં છે.

એક્ટિવ કેસની સંખ્યામાં ઘટાડો

દેશમાં કોરોનાના એક્ટિવ દરમાં ઘટાડો આવી રહ્યો છે. છેલ્લા 24 કલાકમાં દેશમાં કોરોનાના 176 એક્ટિવ કેસ ઓછા થયા છે. કોરોનાના એક્ટિવ કેસની સંખ્યા 1.37 ટકા છે. દેશમાં છેલ્લા 24 કલાકમાં કોરોના વાઈરસથી 11,805 લોકો સાજા થયા છે. એમાંથી રિકવરી દર 97.19 ટકા છે. ભારતનો કોરોના મૃત્યુ દર 1.43 ટકા છે.

દેશમાં 20 કરોડથી વધારે કોરોના ટેસ્ટ

દેશમાં કોરોના તપાસની સંખ્યા ઝડપથી વધી રહી છે. દેશમાં અત્યાર સુધી 20 કરોડથી વધારે કોરોનાની તપાસ કરવામાં આવી છે. ઈન્ડિયન કાઉન્સિલ ઑફ મેડિકલ રિસર્ચ (Indian Council of Medical Research, ICMR) તરફથી જાહેર કરવામાં આવેલા આંકડા અનુસાર દેશમાં શુક્રવારે એટલે 6 ફેબ્રુઆરી 2021 સુધી 20,06,72,589 નમૂનાઓનું પરીક્ષણ કરવામાં આવ્યું છે, જેમાં ગઈ કાલે 7,40,794 ટેસ્ટ કરવામાં આવ્યા છે.

દેશમાં અત્યાર સુધી 57 લાખથી વધારે રસીકરણ

દેશમાં કોરોના વાઈરસ વિરૂદ્ધ રસીકરણ ચાલું છે. કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયના તાજેતરના આંકડાઓ અનુસાર દેશમાં અત્યાર સુધી 57 લાખ 75 હજાર 322 લોકોને રસી આપવામાં આવી છે. એમાંથી છેલ્લા 24 કલાકમાં 3 લાખ 58 હજાર 473 લોકોને રસી આપવામાં આવી છે.

coronavirus covid19 national news new delhi