13 April, 2020 02:41 PM IST | Dehradun | Gujarati Mid-Day Online Correspondent
ગંગાઘાટ પર બેસીને લખવું પડ્યું સૉરી. - તસવીર એએનઆઇ.
ગંગા કિનારે લટાર મારવા અને ધ્યાન ધરવા નિકળેલા વિદેશીઓનાં ગ્રુપને લૉકડાઉનનો ભંગ કરવા બદલ પાપ ધોવાનો મોકો મળ્યો તો ય ભૂલની માફી માગવી પડી.પોલીસે તેમની પાસે 500 વખત પોતે ભૂલ કરી છે એમ લખાવડાવ્યું.ઉત્તરાખંડમાં થયેલી આ ઘટનામાં તપોવન વિસ્તારનાં તેહરી ગઢવાલ જિલ્લાનાં સાઇ ગંગા ઘાટ પર છ પુરુષો અને ચાર સ્ત્રીઓ જે ઇઝરાઇલ, ઑસ્ટ્રેલિયા, મેક્સિકો અને લેતિવાનાં રહેવાસી છે તેઓ ગંગાનાં દર્શન કરવા અને ડુબકી લગાવવા નિકળ્યા હતા.તેમને જ્યારે પોલીસે ઝડપ્યા ત્યારે તેમણે એમ કહ્યું કે પોતે ગંગા કિનારે ધ્યાન ધરવા માગતા હતા.તપોવન ચોકીનાં પોલીસ અધિકારી વિનોદ કુમારે જણાવ્યું કે “મેં તેમનેં કહ્યુ કે લૉકડાઉનનો રિલેક્સેશન સમય માત્ર જરૂરી ચીજો ખરીદવા માટે અપાય છે ધ્યાન ધરવા માટે નહીં.”
વિદેશી સહેલાણીઓએ પોલીસની માફી માગી. જો કે પોલીસને આનાથી સંતોષ ન થયો કારણકે આમ માફી માગીને છૂટી જાય તો કેવી રીતે ચાલે અને તેઓ ફરી પણ આ ભૂલ કરી શકે છે.ગંગા કિનારે ધ્યાન ધરવા નિકળેલા આ વિદેશીઓને પોલીસે કોરા કાગળ લાવી આપ્યા અને કહ્યું કે તેમણે અંગ્રેજીમાં 500 વાર લખવું કે મેં લૉકડાઉનનાં નિયમનું અનુસરણ નથી કર્યું, મારી ભૂલ થઇ ગઇ, I did not follow the ruled of lockdown. I am sorry. આ કરાવ્યા બાદ જ પોલીસે આ વિદેશીઓને છોડ્યા.