દેશમાં કોરોનાની હાલતમાં સુધારણા, લગભગ 200 જિલ્લામાં નહીં આવ્યા કેસ

28 January, 2021 11:54 AM IST  |  New Delhi | Gujarati Mid-day Online Correspondent

દેશમાં કોરોનાની હાલતમાં સુધારણા, લગભગ 200 જિલ્લામાં નહીં આવ્યા કેસ

પ્રતીકાત્મક તસવીર

દેશમાં કોરોના વાઈરસના કેસોની સંખ્યામાં ઘટાડો થઈ રહ્યો છે. આ સાથે જ કોરોના સંક્રમણથી સાજા થનારા દર્દીઓ વધી રહ્યા છે. કોરોનાની સક્રિયતા પણ દેશમાં ઓછી થઈ રહી છે. કેન્દ્રીય આરોગ્ય પ્રધાન ડૉ.હર્ષવર્ધનના મતે દેશમાં લગભગ 200 જિલ્લામાં કોરોનાના નવા કેસ નથી આવી રહ્યા.

કેન્દ્રીય સ્વાસ્થય પ્રધાન ડૉ.હર્ષવર્ધને જણાવ્યું છે કે દેશના 147 જિલ્લાઓમાં છેલ્લા 7 દિવસમાં કોરોના વાઈરસનો એક પણ કેસ નોંધાયો નથી. 18 જિલ્લાઓમાં છેલ્લા 14 દિવસમાં એક પણ કેસ સામે આવ્યા નથી, તેમ જ 6 જિલ્લાઓમાં 21 દિવસમાં એક પણ કેસ જોવા મળ્યો નથી અને 21 જિલ્લાઓમાં છેલ્લા 28 દિવસમાં એક કેસ જોવા મળ્યો નથી.

આરોગ્ય પ્રધાન ડૉ.હર્ષવર્ધને સાથે જ જણાવ્યું હતું કે દેશમાં કોરોના વાઈરલસના 70 ટકા કેસ મહારાષ્ટ્ર અને કેરળમાં છે. આરોગ્ય પ્રધાનના જણાવ્યા મુજબ ભારતમાં બ્રિટનના નવા કોરોના વેરિએન્ટના 153 કેસ મળી આવ્યા છે.

દેશમાં કોરોનાના નવા કેસ ઘટ્યા, રિકવરી વધી

કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયના તાજેતરના આંકડા અનુસાર, દેશમાં છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસના 11,666 નવા કેસ નોંધાયા છે. આ સમય દરમિયાન 123 લોકોનાં મોત નીપજ્યાં છે. આરોગ્ય મંત્રાલયના જણાવ્યા અનુસાર દેશમાં કોરોના ચેપના કુલ 1 કરોડ 7 લાખ 1 હજાર 193 કેસ નોંધાયા છે. જો કે 1 કરોડ 3 લાખ 73 હજાર 606 લોકો સાજા થયા છે. ભારતમાં કોરોના વાયરસના સક્રિય કેસની વાત કરીએ તો હવે ફક્ત 1 લાખ 73 હજાર 740 સક્રિય કેસ બાકી છે. ભારતમાં કોરોનાથી અત્યાર સુધીમાં એક લાખ 53 હજાર 847 લોકોએ જીવ ગુમાવ્યો છે.

રિકવરી રેટમાં વધારો

દેશમાં કોરોનાના રિકવરી દરમાં વધારો જોવા મળ્યો છે. છેલ્લા 24 કલાકમાં દેશમાં કોરોનાથી 14,301 લોકો સ્વસ્થ થયા છે. એમાંથી રિકવરી રેટ 96.94 ટકા થઈ ગયો છે. દેશમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 2758 એક્ટિવ કેસ ઓછા થયા છે. એમાંથી એક્ટિવ દર 1.62 ટકા રહી ગયો છે. ભારતની કોરોના મૃત્યુદર હાલમાં 1.44 ટકા છે.

દેશમાં 19.40 કરોડથી વધારે કોરોના ટેસ્ટ

દેશમાં કોરોના તપાસની સંખ્યા ઝડપથી વધી રહી છે. દેશમાં અત્યાર સુધી 19.40 કરોડથી વધારે કોરોના તપાસ થઈ છે. ઈન્ડિયન કાઉન્સિલ ઑફ મેડિકલ રિસર્ચ (Indian Council of Medical Research, ICMR) દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડા અનુસાર દેશમાં બુધવારે 27 જાન્યુઆરી 2021 સુધી 19,43,38,773 નમૂનાઓ પરીક્ષણો લેવામાં આવ્યા હતા.

દેશમાં અત્યાર સુધી 23 લાખથી વધુ રસીકરણ

દેશમાં કોરોના વાઈરસ વિરૂદ્ધ રસીકરણ ચાલુ છે. કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયના નવીનતમ માહિત અનુસાર દેશમાં અત્યાર સુધી 23 લાખ 55 હજાર 979 લોકોને રસી આપવામાં આવી છે. તેમાંથી છેલ્લા 24 કલાકમાં 3 લાખ 26 હજાર 499 લોકોને રસી આપવામાં આવી છે.

national news new delhi coronavirus covid19