03 March, 2020 11:20 AM IST | Mumbai Desk
કોરોનાવાયરસ
ખતરનાક અને જીવલેણ કોરોના વાઇરસ હવે દેશના પાટનગર દિલ્હી સુધી પહોંચી ગયો છે. પાટનગર દિલ્હીમાં કોરોના વાઇરસનો પહેલો મામલો પ્રકાશમાં આવ્યો છે. આ ઉપરાંત કોરોનાનો વધુ એક કેસ તેલંગણમાં પણ નોંધાયો છે. દિલ્હીમાં જે વ્યક્તિનો રિપોર્ટ કોરોના પૉઝિટિવ આવ્યો છે તે તાજેતરમાં જ ઈટલીથી અને અન્ય એક વ્યક્તિ દુબઈથી પરત ફર્યો હતો. અત્યાર સુધી ભારતમાં કુલ પાંચ પૉઝિટિવ કેસ મળી આવ્યા છે.
સ્વાસ્થ્ય મંત્રાલય તરફથી જણાવવામાં આવ્યું છે કે આ મામલા પર પ્રકાશ પડ્યા બાદ વિદેશથી પાછા ફરેલા લોકોની ખૂબ જ ઝીણવટપૂર્વક તપાસ કરવામાં આવી રહી છે. જોકે હાલમાં કોરોનાના બન્ને દર્દીઓની તબિયત સ્થિર છે. આ અગાઉ ચીનથી ઍરલિફ્ટ કરવામાં આવેલા ભારતીય નાગરિકોને માનસેર સેન્ટર ખાતે રાખવામાં આવ્યા છે, જ્યાં તેઓને ૨૪ કલાક માટે અન્ડર ઑબ્ઝર્વેશન રાખવામાં આવ્યા છે. ચીનથી ભારત લવાયેલા આ લોકોને કોઈને પણ મળવાની પરવાનગી આપવામાં નથી આવી. તેમ જ વિદેશથી આવનારા પ્રવાસીઓની અૅરપોર્ટ પર જ થર્મલ સ્ક્રીનિંગ કરવામાં આવી રહી છે. નોંધનીય છે કે તાજેતરમાં જ જપાનથી ‘ડાયમન્ડ પ્રિન્સેસ’ ક્રૂઝમાંથી ભારતના ૧૧૯ નાગરિકોનું રેસક્યુ કરવામાં આવ્યું હતું. આ તમામ લોકોને જપાનથી સીધા માનસેર સેન્ટર લઈ જવામાં આવ્યા હતા જ્યાં તેઓ હાલમાં પણ ડૉક્ટર્સના અન્ડર ઑબ્ઝર્વેશનમાં છે. સુખદ વાત એ છે કે ભારતીય ડૉક્ટર્સ આ રોગને ફેલાતો અટકવા માટે અને નાબૂદ કરવા માટે દિવસ-રાત મહેનત કરી રહ્યા છે જેના કારણે હજી સુધી ભારતમાં કોરોના વાઇરસના કારણે એક પણ વ્યક્તિને પોતાનો જીવ ગુમાવવો પડ્યો નથી.