28 July, 2020 11:43 AM IST | New Delhi | Gujarati Mid-day Online Correspondent
પ્રતીકાત્મક તસવીર
કોરોના વાયરસ (COVID-19)ના સંક્રમણે ધ્યાનમાં રાખીને ગૂગલે તેના કર્મચારીઓના હિતમાં મહત્વનો નિર્ણય કર્યો છે. કંપનીના બે લાખ કર્મચારીઓ માટે વર્ક ફ્રોમ હોમની અવધિ આગામી વર્ષ એટલે કે જુન 2021 સુધી લંબાવી છે. કંપનીએ સોમવારે એક નિવેદનમાં કહ્યું હતું કે, કર્મચારીઓ 30 જુન 2021 સુધી વર્ક ફ્રોમ હોમ કરી શકશે. આ સંદર્ભે ગૂગલની પેરેન્ટ કંપની અલ્ફાબેટના સીઈઓ સુંદર પિચાઈએ કર્મચારીઓને ઈમેઈલ પણ મોકલ્યો છે.
સીઈઓ સુંદર પિચાઈએ કર્મચારીઓને મોકલેલા ઈમેઈલમાં લખ્યું છે કે, કર્મચારીઓને આગળનું પ્લાનિંગ કરવા માટે અમે વૈશ્વિક સ્તર પર વર્ક ફ્રોમ હોમની સુવિધાનો વિકલ્પ 30 જૂન 2021 સુધી વધારી રહ્યાં છીએ. જેઓએ ઓફિસથી કામ કરવાની જરૂર નથી તેમના માટે આ નિયમ લાગૂ રહેશે. અમેરિકન મીડિયાના એક અહેવાલ પ્રમાણે, સુંદર પિચાઇએ આ નિર્ણય ગૂગલના કેટલાક મુખ્ય અધિકારીઓ સાથે ચર્ચા-વિચારણા કર્યા બાદ જાતે જ લીધો છે. આખા વિશ્વમાં ગૂગલના બે લાખથી વધુ કર્મચારીઓ છે. કાયમી કર્મચારીઓ અને કોન્ટ્રેક્ટ આધારિત કર્મચારીઓ બધાને જ આ સુવિધાનો લાભ મળશે. તમને જણાવી દઈએ કે, આ પહેલાં ગૂગલના વર્ક ફ્રોમ હોમનો વિકલ્પ જાન્યુઆરી 2021 સુધી જ હતો.
કર્મચારીઓના હિતમાં ગૂગલે લીધેલા આ નિર્ણય બાદ હવે આશા રાખવામાં આવી રહી છે કે ટેક્નોલોજી ક્ષેત્ર સહિત અન્ય મોટી કંપનીઓ પણ પોતાના કર્મચારીઓ માટે વર્ક ફ્રોમ હોમની અવધિ વધારી શકે છે. કોરોના વાયરસ મહામારીનો ફેલાવો ચિંતાજનક છે. એટલે કર્મચારીઓ પ્રત્યે કંપની વધુ સર્તકતા રાખી રહી છે.