21 July, 2020 08:00 PM IST | New Delhi | Gujarati Mid-day Online Correspondent
ફાઈલ તસવીર
કોરોના વાયરસ (COVID-19) મહામારીની અસર દરેક જગ્યાએ જોવા મળી રહી છે. હવે અમરનાથની યાત્રા પર પણ વાયરસની નજર લાગી ગઈ છે અને યાત્રા રદ્દ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. જમ્મુ-કાશ્મીર વહિવટી તંત્ર અને શ્રી અમરનાથ શ્રાઈન બોર્ડે કોરોના સંક્રમણના વધતા કેસને ધ્યાનમાં રાખીને મંગળવારે યોજાયેલી બેઠકમાં આ નિર્ણય કર્યો છે. અમરનાથ યાત્રા જ્યાંથી પસાર થવાની હતી તે કાશ્મીર ઘાટીના 10 જિલ્લા કોરોના પ્રભાવિ છે.
અમરનાથ યાત્રા આ વર્ષે 23 જૂનથી શરૂ થવાની હતી. પરંતુ કોરોના વાયરસની પાર્શ્વભૂમિ પર 21 જૂલાઈથી શરૂ કરવાનો નિર્ણય કરાયો હતો. પરંતુ છેલ્લા કેટલાક દિવસથી જમ્મુ-કાશ્મિરમાં પણ કોરોના સંક્રમણના કેસમાં વધારો થતા યાત્ર રદ્દ કરવાનો નિર્ણય કરાયો છે. જોકે, નિર્ણય લેવાયો ન હતો તે પહેલા જ યાત્રા માટે શ્રદ્ધાળુઓ માટેની જરૂરી તમામ તૈયારીઓ પુરી કરી લેવાઈ હતી. યાત્રાના માર્ગ ઉપર લંગરો પણ લાગી ચૂક્યા હતા. જૂનના પ્રારંભમાં, શ્રાઇન બોર્ડે ફક્ત બાલટાલ રૂટ પરથી જ યાત્રા યોજવાનું નક્કી કર્યું હતું અને પરંપરાગત પહેલગામ માર્ગ દ્વારા તૈયારીઓ પૂર્ણ ન થતાં યાત્રા મુલતવી રાખવાનો નિર્ણય લીધો હતો. એટલું જ નહીં યાત્રાના માર્ગ પર કોવિડ હૉસ્પિટલ પણ બનાવવામાં આવી હતી.
ઉલ્લેખનિય છે કે, આ વર્ષે અમરનાથ યાત્રાને રોકવા માટે સુપ્રીમ કોર્ટમાં એક અરજી કરાઈ હતી. આ અરજી અમરનાથ બર્ફાની લંગર સંગઠને કરી હતી. જેમાં કહેવાયું હતું કે, અમરનાથ યાત્રામાં દર વર્ષે 10 લાખથી વધારે ભક્તો આવે છે. આટલી મોટી સંખ્યામાં લોકો આવતા હોવાથી કોરોના સંક્રમણ વધવાનું જોખમ રહશે.
અમરનાથ યાત્રાનું સંચાલન શ્રી અમરનાથ શ્રાઈન બોર્ડ કરે છે. દરે વર્ષે જૂન-જુલાઈમાં યોજાતી આ યાત્રાને લઈને બોર્ડ જાન્યુઆરીથી જ તૈયારી શરૂ કરી દે છે. દર વર્ષે યાત્રા શરૂ થતા પહેલા રાજ્યપાલ પ્રથમ પૂજા કરે છે.