25 May, 2020 12:59 PM IST | New Delhi | Agencies
પ્રતીકાત્મક તસવીર
કોરોના રોગચાળાને કારણે જાહેર કરવામાં આવેલા લૉકડાઉનને લીધે વિદેશોમાં રઝળી પડેલા ભારતીયોને ભારતમાં પાછા લાવવા માટે ગઈ કાલે કેન્દ્ર સરકારે સ્ટાન્ડર્ડ ઑપરેટિંગ પ્રોસીજર (SOP) જાહેર કર્યા હતા. એ પેઇડ સર્વિસમાં નોકરી ગુમાવનારા અને સગર્ભા મહિલાઓ જેવા જરૂરિયાત ધરાવતા લોકોને પ્રાથમિકતા આપવામાં આવશે. ઍરલાઇને નિર્ધારિત કરેલા દર પ્રમાણેનો પ્રવાસખર્ચ પ્રવાસીએ ચૂકવવાનો રહેશે. વિદેશથી આવનારા પ્રવાસીઓએ સ્વદેશ પાછા આવ્યા પછીની ક્વૉરન્ટીનની માર્ગદર્શક સૂચનાઓને અનુસરવાનું રહેશે.
ગૃહ મંત્રાલયે જાહેર કરેલા પ્રોસીજર અનુસાર વિદેશમાં વસ્તી જે વ્યક્તિ ભારત આવવા ઇચ્છતી હોય તે વ્યક્તિએ સંબંધિત દેશના ભારતીય રાજદૂતાલયમાં નામો નોંધાવવાનાં રહેશે. નોંધણી-રજિસ્ટ્રેશનમાં વિદેશ મંત્રાલયે નિર્દેશિત કર્યા પ્રમાણે વિગતો નોંધાવવાની રહેશે. સ્વદેશ પાછા આવવાની ફ્લાઇટ્સમાં નોકરી ગુમાવી બેઠેલા કર્મચારીઓ, સ્થળાંતરકારી મજૂરો, વિઝાની મુદત પૂરી થવાની હોય એવા શૉર્ટ ટર્મ વિઝાહોલ્ડર્સ, મેડિકલ ઇમર્જન્સીવાળી વ્યક્તિઓ, વિદ્યાર્થીઓ, વૃદ્ધો, સગર્ભા મહિલાઓ, કુટુંબના કોઈ સભ્યના મૃત્યુને કારણે વહેલી તકે સ્વદેશ પહોંચવાનું હોય વગેરે પ્રકારના પ્રવાસીઓને પ્રાથમિકતા આપવામાં આવશે.