06 July, 2020 11:37 AM IST | New Delhi | Gujarati Mid-day Online Correspondent
પ્રતીકાત્મક તસવીર
જો તમે ભીડથી દૂર પણ વગર માસ્કે ખુલામાં એમ વિચારીને ફરો છો કે, તમે બીજી વ્યક્તિના સંપર્કમાં નથી એટલે કોરોના વાયરસ (COVID-19) તમારા શરીરમાં નહીં પ્રવેશે તો જરાક થોભી જજો. કારણકે 32 દેશોના 239 વૈજ્ઞાનિકોએ દાવો કર્યો છે કે, કોરોના વાયરસ હવાથી પણ ફેલાય છે. કારણકે એ એરબોર્ન છે. જોકે, વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન (WHO)એ અગાઉ જણાવ્યું હતું કે, કોરોના વાયરસ હવાથી નહીં પણ થૂંકથી ફેલાય છે.
WHOએ કહ્યું હતું કે, ચેપગ્રસ્ત વ્યક્તિ બીજા વ્યક્તિના સંપર્કમાં ન આવે ત્યાં સુધી ચેપ નથી આપી શકતો. જ્યાં સુધી તે ઉધરસ અથવા છીંક ખાતા સમયે મોઢા પર કે નાકમાંથી નીકળતા પાણીના ડ્રોપ બીજા વ્યક્તિ સુધી નથી પહોંચતા ત્યા સુધી વાયરસ ફેલાતો નથી. જ્યારે ઘણા દેશોના વૈજ્ઞાનિકોની વિચારસરણી આથી અલગ છે. ન્યૂયોર્ક ટાઇમ્સના એક અહેવાલ મુજબ, સેંકડો વૈજ્ઞાનિકોએ દાવો કર્યો છે કે કોરોના વાયરસના નાના કણો હવામાં હાજર છે. જેનાથી લોકોને ચેપ લાગી શકે છે. તેમણે WHOને પણ આ સંદર્ભમાં ભલામણો બદલવા વિનંતી કરી છે. વૈજ્ઞાનિકોએ ડબ્લ્યુએચઓને એક ખુલ્લો પત્ર લખ્યો છે. જે આવતા અઠવાડિયે વૈજ્ઞાનિક જર્નલમાં પ્રકાશિત કરવાની યોજના છે. આ કાગળમાં 32 દેશોના 239 વૈજ્ઞાનિકોએ પુરાવા આપ્યા છે કે હવામાં રહેલા વાયરસના નાના કણો લોકોને ચેપ લગાવી શકે છે. આ વૈજ્ઞાનિકો કહે છે કે, ચેપગ્રસ્ત વ્યક્તિને ઉધરસ અથવા છીંક આવે ત્યારે મોટા ટીપાં, તેમજ તેના શ્વાસમાંથી પાણીના નાના ટીપાં, ઓરડા સુધી હવામાં ફેલાય છે અને બીજી વ્યક્તિને ચેપ લગાડે છે. જોકે, WHOનું કહેવું છે કે હવામાં વાયરસ મળ્યાના પુરાવા પર વિશ્વાસ કરી શકાય એમ નથી.
WHOના ચેપ નિવારણ અને નિયંત્રણ ટીમના ટેક્નિકના વડા ડૉ. બેન્ડેટા એલેગ્રેંજીએ આ સંદર્ભમાં કહ્યું હતું કે, અમે ઘણીવાર કહ્યું છે કે કોરોના વાયરસ હવાથી ફેલાય તેની પુરેપુરી શક્યતા છે. ખાસ કરીને છેલ્લા કેટલાક મહિનામાં હવાથી ચેપ શક્ય છે. પરંતુ હજી સુધી કોઈ નક્કર કે સ્પષ્ટ પુરાવા નથી મળ્યા.