20 November, 2021 06:52 PM IST | mumbai | Gujarati Mid-day Online Correspondent
નવજોત સિદ્ધુ
પંજાબ કોંગ્રેસ અધ્યક્ષ નવજોત સિદ્ધુ(Navjot Singh Sidhu)ફરી એકવાર વિવાદમાં છે. કરતારપુર કોરિડોરથી ગુરુદ્વારા શ્રી કરતારપુર સાહિબના દર્શન કરવા પાકિસ્તાન પહોંચેલા સિદ્ધુએ પાકિસ્તાનના વડાપ્રધાન ઈમરાન ખાનને પોતાના મોટા ભાઈ ગણાવ્યા છે.
કરતારપુરમાં સિદ્ધુએ કહ્યું કે `વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને પાકિસ્તાનના વડાપ્રધાન ઈમરાન ખાનના પ્રયાસોને કારણે કરતારપુર કોરિડોર ખોલવામાં આવ્યો છે. નવજોત સિદ્ધુના ઈમરાનને ભાઈ કહેવાના નિવેદનને કારણે વિવાદ થયો છે. તો બીજી બાજુ મંત્રી પરગટ સિંહે કહ્યું કે જ્યારે વડાપ્રધાન મોદી પાકિસ્તાન જાય છે ત્યારે તેઓ દેશ પ્રેમી હોય છે, પરંતુ જ્યારે સિદ્ધુ પાકિસ્તાન જાય છે ત્યારે તે દેશનો ગદ્દાર હોય છે... શું હું તમને ભાઈ ન કહી શકું? અમે ગુરુ નાનક દેવના દર્શનને કરીએ છીએ.
ગત વખતે પણ જ્યારે સિદ્ધુ પાકિસ્તાન ગયા હતા ત્યારે તેમણે કરતારપુર કોરિડોર ખોલવાના મુદ્દે પાકિસ્તાની સેનાના જનરલ બાજવાને ગળે લગાવ્યા હતા. આ પછી તેમનો જોરદાર વિરોધ થયો હતો. આવી સ્થિતિમાં સૌની નજર તેમના આજના પ્રવાસ પર ટકેલી હતી.
અગાઉ, મુખ્યમંત્રી ચરણજીત સિંહ ચન્ની 18 નવેમ્બરે જ શ્રી કરતારપુર સાહિબના દર્શન માટે રાજ્યના વડા નવજોત સિંહ સિદ્ધુને પોતાની સાથે લઈ જવા માંગતા હતા, પરંતુ સિદ્ધુ તેમના સમર્થકો સાથે જવા તૈયાર હતા. તેથી તેઓએ અલગથી જવાનું આયોજન કર્યું.
તે જ સમયે સિદ્ધુના સ્ટેન્ડને ધ્યાનમાં રાખીને પંજાબ સરકારે 18, 19 અને 20 નવેમ્બરના રોજ મંત્રીઓ અને નેતાઓની યાદી કેન્દ્રીય વિદેશ મંત્રાલયને મોકલી હતી, નવજોત સિદ્ધુનું નામ ત્રીજી યાદીમાં છઠ્ઠું સ્થાન આપવામાં આવ્યું હતું, જેના કારણે વિદેશ મંત્રાલયે તેમને 20 નવેમ્બરે કરતારપુર જવાની મંજૂરી આપી છે. જો કે, કોંગ્રેસ પક્ષ વિદેશ મંત્રાલય પર સિદ્ધુને 18 અને 19 નવેમ્બરે કરતારપુર જવાની પરવાનગી ન મળવા માટે દોષી ઠેરવી રહી હતી. પાર્ટીના સૂત્રોના જણાવ્યા અનુસાર, મુખ્યમંત્રી ચન્નીએ સિદ્ધુને તેમની સાથે રહેવા કહ્યું હતું પરંતુ સિદ્ધુ માન્યા ન હતા.