03 May, 2025 04:09 PM IST | New Delhi | Gujarati Mid-day Correspondent
કૉન્ગ્રેસ-અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે
પહલગામમાં આતંકવાદી હુમલા બાદ શુક્રવારે દિલ્હીમાં કૉન્ગ્રેસ વર્કિંગ કમિટી (CWC)ની ઇમર્જન્સી બેઠક યોજાઈ હતી. કૉન્ગ્રેસ-અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેની અધ્યક્ષતામાં યોજાયેલી આ બેઠકમાં સોનિયા ગાંધી, રાહુલ ગાંધી, પ્રિયંકા ગાંધી સહિતના કૉન્ગ્રેસી દિગ્ગજો ઉપસ્થિત રહ્યા હતા. એમાં પહલગામ હુમલા અને જાતિઆધારિત વસ્તીગણતરીના કેન્દ્ર સરકારના નિર્ણય અંગે ચર્ચા થઈ હતી. આ બેઠકમાં કૉન્ગ્રેસે આતંકવાદ વિરુદ્ધની લડાઈમાં કેન્દ્રની મોદી સરકારને તમામ શક્ય મદદ કરવાની વાત કરી હતી.
એક વર્ષના દીકરાને પતિ પાસે મૂકીને પાકિસ્તાન જવું પડ્યું આ મહિલાને
અમ્રિતસર પાસેની અટારી-વાઘા બૉર્ડર પર ગઈ કાલે પાકિસ્તાની નાગરિક રુવા તાલિબ પોતાના એક વર્ષના દીકરાથી છૂટી પડતાં પહેલાં રડમસ થઈ ગઈ હતી. તેણે દીકરાને ભારતીય પતિ મોહમ્મદ તાલિબ પાસે મૂકીને સ્વદેશ જવું પડ્યું હતું.
પહલગામના અટૅકમાં પાકિસ્તાનની ગુપ્તચર એજન્સી ISIની સાઠગાંઠ
NIAની તપાસમાં સામે આવી ચોંકાવનારી માહિતી
પહલગામના આતંકવાદી હુમલામાં ૨૬ લોકોના જીવ ગયા હતા જેને લઈને તપાસનો ધમધમાટ શરૂ થયો છે. પહલગામના આતંકવાદી હુમલાની તપાસ કરી રહેલી નૅશનલ ઇન્વેસ્ટિગેશન એજન્સી (NIA)ને મોટી માહિતી મળી છે. NIAને પોતાની પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે કે આ હુમલામાં પાકિસ્તાનની ગુપ્તચર એજન્સી ઇન્ટર-સર્વિસિસ ઇન્ટેલિજન્સ (ISI) અને લશ્કર-એ-તય્યબા (LeT)ની સાઠગાંઠ છે અને ISIના ઇશારે જ આ હુમલો થયો છે. હુમલા પહેલાં અને પછી આતંકવાદીઓએ પાકિસ્તાનમાં બેઠેલા તેમના હૅન્ડલરોનો સંપર્ક કર્યો હતો. આતંકવાદીઓ દ્વારા ઉપયોગમાં લેવાતા સૅટેલાઇટ ફોનની વિગતો એકઠી કરવા માટે વિદેશી નિષ્ણાતોની પણ મદદ લેવામાં આવી રહી છે.
લશ્કર-એ-તય્યબાના ધ રેઝિસ્ટન્સ ફ્રન્ટ (TRF)એ શરૂઆતમાં હુમલાની જવાબદારી લીધી હતી, પરંતુ બાદમાં TRFએ એનો ઇનકાર કર્યો હતો. તપાસ એજન્સીઓએ હુમલામાં સંડોવાયેલા પાંચ આતંકવાદીઓની ઓળખ કરી છે.