21 January, 2021 02:18 PM IST | New Delhi | Mumbai correspondent
પ્રતીકાત્મક તસવીર
વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ દેશવાસીઓને પ્રકાશ પર્વની શુભેચ્છા પાઠવતાં પ્રધાન મંત્રી આવાસ યોજનાના કાર્યક્રમમાં જનતાને સંબોધન કર્યું હતું. આ યોજના હેઠળ ગઈ કાલે ૮૦,૦૦૦ પરિવારોને મકાનનો બીજો હપ્તો આપવામાં આવ્યો હતો. આ યોજના હેઠળ લગભગ ૬ લાખ લાભાર્થીઓને આર્થિક સહાય આપવામાં આવી હતી. કેન્દ્ર સરકાર દ્વારા ૨૦૨૨ સુધીમાં તમામ ગરીબને પોતાનું ઘર આપવાની યોજના હેઠળ આર્થિક સહાય આપવામાં આવી રહી છે.
અગાઉની સરકારો પર નિશાન સાધતાં તેમણે કહ્યું હતું કે પહેલાં ગરીબોને ખબર જ નહોતી કે ઘર બનાવવા માટે સરકાર પણ મદદ કરી શકે છે. પહેલાંની આવાસ યોજના હેઠળ કેવા ઘર બનાવવામાં આવતાં હતાં એ જાહેર છે. અમારી પ્રાથમિકતા લોકોને મજબૂત ઘર મળે એ છે.
ગામ અને શહેરમાં મળતી મૂળભૂત સુવિધાઓ વચ્ચેનું અંતર ઓછું હોય એવી કોશિશ કરવામાં આવી રહી છે. ગામના લોકોને પણ શૌચાલય, વીજળી, પાણી જેવી મૂળભૂત સુવિધાઓ મળે એવી કોશિશ છે.