24 August, 2020 08:33 PM IST | Mumbai | Gujarati Mid-Day Online Correspondent
મનોહર લાલ ખટ્ટર
હરિયાણાના મુખ્ય પ્રધાન મનોહર લાલ ખટ્ટર (Manohar Lal Khattar)ની કોરોના રિપોર્ટ પૉઝિટિવ આવી છે. આ બાબતે તેમણે ટ્વીટ કરીને માહિતી આપી હતી.
ટ્વીટરમાં તેમણે લખ્યું કે, મે આજે કોરોનાનો ટેસ્ટ કરાવ્યો હતો જે પૉઝિટિવ આવ્યો છે. હું દરેક સહકર્મીઓ અને સહયોગીઓને વિનંતી કરું છું કે છેલ્લા એક અઠવાડિયાથી મારા સંપર્કમાં જે પણ આવ્યા છે તે પોતાનો ટેસ્ટ કરાવે.
હરિયાણા વિધાનસભાના અધ્યક્ષ જ્ઞાન ચંદ ગુપ્તા અને ભાજપના બે વિધાનસભ્યો પણ COVID-19 પૉઝિટિવ થયા હોવાનું રાજ્યના ગૃહ અને સ્વાસ્થ્ય પ્રધાન અનિલ વિજે જણાવ્યું હતું.
અધિકારીઓએ કહ્યું કે, વિધાનસભાના છ કર્મચારીઓમાં પણ સંક્રમણ ફેલાયું છે. વિજે કહ્યું કે, વિધાનસભા અધ્યક્ષ (ગુપ્તા) અને વિધાનસભ્ય અસીમ ગોયલ અને રામ કુમારમાં પણ કોરોના વાઈરસના સંક્રમણની પૃષ્ટી થઈ છે.
કેન્દ્રિય જળ સંસાધન પ્રધાન ગજેન્દ્ર સિંહ શેખાવતનો પણ કોરોના રિપોર્ટ પૉઝિટિવ આવ્યો હતો. ખટ્ટર અને શેખાવત સતલુજ-યમુના લિંક નહેર સંબંધિત ઘણી મીટિંગમાં શામેલ હતા. આ પછી મનોહર લાલ ખટ્ટરે પોતાને ક્વૉરન્ટીન કર્યો હતો. જોકે હવે તેમનો રિપોર્ટ પૉઝિટિવ આવ્યો છે.