15 August, 2025 07:15 AM IST | New Delhi | Gujarati Mid-day Correspondent
ચીફ જસ્ટિસ બી. આર. ગવઈ
ચીફ જસ્ટિસ બી. આર. ગવઈએ ગઈ કાલે કહ્યું હતું કે તેઓ દિલ્હી-નૅશનલ કૅપિટલ રીજન (NCR)માં બધા રખડતા કૂતરાઓને અટકાયતમાં રાખવા અને તેમને શેલ્ટર હોમમાં મૂકવાના સુપ્રીમ કોર્ટના આદેશની સમીક્ષા કરશે. સમાજના અનેક વર્ગો તરફથી આકરા વિરોધ વચ્ચે આ નિર્ણય લેવામાં આવ્યો છે.
આ આદેશનું રેસિડન્ટ વેલ્ફેર અસોસિએશન્સ (RWA) દ્વારા સ્વાગત કરવામાં આવ્યું હતું. જોકે પ્રાણી કાર્યકરોએ દલીલ કરી હતી કે નાગરિક સંસ્થાઓ પાસે આ કવાયત માટે ભંડોળનો અભાવ છે.
ગઈ કાલે સવારે ચીફ જસ્ટિસ સમક્ષ આ મુદ્દો મૂકવામાં આવ્યો હતો, જેમને રખડતા કૂતરાઓના સ્થળાંતર અને હત્યા પર પ્રતિબંધ મૂકતા અગાઉના કોર્ટના આદેશ વિશે પણ જાણ કરવામાં આવી હતી.
આજે સ્પેશ્યલ બેન્ચ સુનાવણી કરશે
ચીફ જસ્ટિસ બી. આર. ગવઈના નિવેદન પછી સુપ્રીમ કોર્ટ રખડતા કૂતરાઓના મુદ્દે ફરી સમીક્ષા કરવાની છે. સુપ્રીમ કોર્ટના ત્રણ જજની સ્પેશ્યલ બેન્ચ સામે આ કેસ રજૂ થશે. આ બેન્ચ રખડતા કૂતરાઓ વિશે બે બેન્ચની જજે આપેલા આદેશની ફરી સમીક્ષા કરશે. આજે આ બેન્ચની પ્રથમ સુનાવણી હાથ ધરાશે.
મુંબઈની ઍનિમલ વેલ્ફેર કમિટી દ્વારા રસ્તે રખડતા શ્વાનો સાથે યોગ્ય વ્યવહાર થાય એ વિશે જાગરૂકતા ફેલાવવા માટે આજે કાર્ટર રોડ પર સવારે ૧૧ વાગ્યે રૅલી કાઢવામાં આવશે. આ જ સંદર્ભે આવતી કાલે બપોરે ૧૨ વાગ્યે આઝાદ મેદાનમાં મૂક મોરચો પણ કાઢવામાં આવશે. આ મોરચામાં પશુપ્રેમીઓ અને રખડતા શ્વાનોને મદદ કરતા લોકો જોડાશે. કાળાં કપડાં પહેરીને દેખાવકારો અબોલ પશુઓ માટે ન્યાયની માગણી કરશે.