ઉત્તર પ્રદેશ: બસ પકડવા દોડતી શ્રમિકની દીકરીને ટ્રકે કચડી નાખી

20 May, 2020 01:05 PM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

ઉત્તર પ્રદેશ: બસ પકડવા દોડતી શ્રમિકની દીકરીને ટ્રકે કચડી નાખી

ફાઈલ તસવીર

કોરોના વાયરસ (COVID-19)ને લીધે લાગૂ કરવામાં આવેલા લૉકડાઉનની મુદત એક પછી એક લંબાતી હોવાને લીધે પ્રવાસી શ્રમિકોએ પોતાના વતન જવા માટે પગપાળા પ્રવાસ શરૂ કર્યા છે. આ દરમ્યાન દરરોજ કોઈકને કોઈક રાજ્ય અને શહેરમાં અકસ્માત અને દુર્ઘટના ઘટે છે, જેમા પ્રવાસી શ્રમિકોનું મોત થાય છે. તાજેતરમાં ઉત્તર પ્રદેશમાં બનેલી એક દુર્ઘટનામાં માતા-પિતા સાથે બસ પકડવા દોડતી શ્રમિકની દીકરીને ટ્રકે કચડી નાખતા તેનું મૃત્યુ થયું હતું. જ્યારે બિહારમાં અન્ય એક દુર્ઘટનામાં ટ્રક ઉંધો વળતા નવ શ્રમિકોના મૃત્યુ થયા હતા અને કેટલાક ઘાયલ પણ થયા હતા.

ઉત્તર પ્રદેશ:

મંગળવારે ઈટાવા-મણીપુરી બોર્ડર પર આવેલા કિશ્ની વિસ્તારમાં દુર્ઘટના બની હતી. શ્રમિક પરિવાર ગુરુગ્રામથી ઉત્તર પ્રદેશના સીતાપુર જઈ રહ્યો હતો ત્યારે આ બનાવ બન્યો હતો. પરિવારને બીજા 13 મજૂરો સાથે એક અસુરક્ષિત ટ્રકમાંથી ઉતારવામાં આવ્યા અને મણીપુરી બોર્ડર પર બસમાં બેસવાનું કહ્યું હતું. એક મજૂરે માહિતિ આપી હતી કે, સોમવારે ગુરુગ્રામથી પોતાના પરિવાર અને અન્ય સંબંધીઓ સાથે તેણે પગપાળા પ્રવાસની શરૂઆત કરી હતી અને પછી એક ટ્રકમાં ચડયા હતા. મંગળવારે પોલીસે ઈટાવા-મણીપુરી બોર્ડર પર ટ્રક અટકાવ્યો. ટ્રકમાંથી ઉતરીને બધા બસમાં ચડતા હતા ત્યારે જ એ ટ્રકે બાળકીને કચડી નાખી હતી. જોકે ટ્રક કબજે કરી લેવામાં આવ્યો હતો પરંતુ ડ્રાઈવર ભાગી ગયો હતો. ટ્રકના ડ્રાઈવર વિરુધ્ધ એફઆઈઆર નોંધવામાં આવી છે. તેના વિષે તપાસ ચાલી રહી છે. તેમજ બાળકીના મૃતદેહને તેના ગામ પહોચાડવા માટે એમ્બ્યુલન્સની પણ વ્યવસ્થા કરવામાં આવી હતી.

બિહાર:

બિહારમાં બનેલા અન્ય એક બનાવમાં શ્રમિકોને લઈ જઈ રહેલો ટ્રક મંગળવારે ઊંધો વળતા નવનું મોત થયું હતું. બિહારના ભાગલપુર જીલ્લામાં બનેલી આ દુર્ઘટનામાં બસ સાથે ટ્રક અથડાતા તે પલટી ખાઈ ગયો હતો. સવારે છ વાગ્યાની આસપાસ નેશનલ હાઈવે-31 પર અંભો ચોક પાસે બનાવ બન્યો હતો. મળતી માહિતિ પ્રમાણે, ટ્રકમાં સવાર બધા જ પુરૂષ મજુરોએ છ દિવસ પહેલા કલકત્તાથી સાયકલ પર સફરની શરૂઆત કરી હતી અને અધવચ્ચેથી તેઓ ટ્રકમાં ચડયા હતા. પશ્ચિમ બંગાળથી બિહારના કટીહાર જીલ્લા માર્ગે આવતા ટ્રકનો ડ્રાઈવર અને ક્લિનર બન્ને ઘટનાસ્થળેથી ભાગી ગયા હતા. સામે છેડે બસના કેટલાક પ્રવાસીઓ પણ ઘાયલ થયા હતા અને તેમેન સારવાર માટે હૉસ્પિટલમાં મોકલવામાં આવ્યા હતા. બિહારના મુખ્ય પ્રધાન નિતિશ કુમારે આ દુર્ઘટનામાં મૃત્યુ પામનારા શ્રમિકો માટે પ્રત્યેકને ચાર લાખ રૂપિયાની મદદ જાહેર કરી છે.

national news lockdown