12 May, 2025 06:59 AM IST | Delhi | Gujarati Mid-day Correspondent
નરેન્દ્ર મોદી
પાકિસ્તાન સામે ચાલી રહેલી સૈન્ય કાર્યવાહી રોકવા માટે ભારતે પોતાની શરતોએ સહમતી દર્શાવી હતી. આ મુદ્દે સૂત્રોએ જણાવ્યું હતું કે વડા પ્રધાન મોદીએ નૅશનલ સિક્યૉરિટી ઍડ્વાઇઝર (NSA) અજિત ડોભાલ અને વિદેશપ્રધાન એસ. જયશંકરને સ્પષ્ટ કહ્યું હતું કે આપણી શરતો પર યુદ્ધવિરામની વાત થશે. ઑપરેશન સિંદૂર બાદ પાકિસ્તાનના NSA અને ઇન્ટર સર્વિસિસ ઇન્ટેલિજન્સ (ISI)ના ચીફ અસીમ મલિકે ભારતીય NSA અજિત ડોભાલ સાથે વાતચીત શરૂ કરવાનો પ્રયાસ કર્યો હતો.
જોકે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ NSA ડોભાલ અને વિદેશપ્રધાન એસ. જયશંકર બન્નેને સ્પષ્ટ કર્યું હતું કે કોઈ પણ યુદ્ધવિરામ ફક્ત આપણી શરતો પર જ આગળ વધશે. આ જાહેરાત પહેલાં ઘણા દિવસો સુધી અજિત ડોભાલ અને એસ. જયશંકર તેમના અમેરિકી સમકક્ષો સાથે યુદ્ધવિરામ પ્રક્રિયા વિશે વાટાઘાટોમાં રોકાયેલા હતા. વાટાઘાટો દરમ્યાન તેમણે વડા પ્રધાન મોદીને અપડેટ રાખ્યા હતા.