09 December, 2019 09:36 AM IST | Chandigarh
કૅપ્ટન અમરિન્દર સિંહ
પંજાબના મુખ્ય પ્રધાન કૅપ્ટન અમરિન્દર સિંહે નાગરિકતા સંશોધન બિલનો વિરોધ કર્યો છે. કૅપ્ટન અમરિન્દર સિંહનું કહેવું છે કે નાગરિકતા સંશોધન બિલ ભારતની લોકશાહી ભાવનાના વિરુદ્ધ છે એથી તેઓ આ બિલનો વિરોધ કરે છે.
નોંધનીય છે કે કૅપ્ટન અમરિન્દર સિંહ શનિવારે નવી દિલ્હીમાં આયોજિત એક કાર્યક્રમમાં સામેલ થયા હતા જ્યાં તેઓએ નાગરિકતા સંશોધન બિલને લઈને પોતાનો વિરોધ દર્શાવ્યો. કૉન્ગ્રેસના વરિષ્ઠ નેતા અને પંજાબના મુખ્ય પ્રધાન કૅપ્ટન અમરિન્દર સિંહે નાગરિકતા સંશોધન બિલ અને નૅશનલ રજિસ્ટર ફૉર સિટિઝન એટલે કે એનઆરસી બન્નેને ખોટા બતાવ્યા. કૅપ્ટનનું કહેવું છે કે પંજાબ કોઈ પણ હાલતમાં નાગરિકતા સંશોધન બિલને મંજૂર નહીં કરે કેમ કે આ બિલ એનઆરસીની જેમ લોકશાહીની ભાવનાથી વિરુદ્ધ છે. તેઓએ કહ્યું કે પંજાબમાં તેને લાગુ કરવામાં નહીં આવે.
નોંધનીય છે કે પંજાબ દેશની બૉર્ડર સાથે જોડાયેલ રાજ્યોમાં સામેલ છે. ભારત-પાકિસ્તાન બૉર્ડરનો એક લાંબો ભાગ પંજાબથી પસાર થાય છે અને પાકિસ્તાન જવાનો સૌથી પ્રમુખ રસ્તો પણ પંજાબમાં જ છે.