29 July, 2012 04:37 AM IST |
હિંસામાં જે લોકોના ઘરને સંપૂર્ણ નુકસાન પહોંચ્યું છે તેમને ૩૦,૦૦૦ રૂપિયાની સહાય આપવામાં આવશે, જ્યારે જેમના ઘરને અંશત: નુકસાન થયું હશે એવા લોકોને ૨૦,૦૦૦ રૂપિયાની મદદ આપવામાં આવશે. આ સાથે વડા પ્રધાને પ્રત્યેક મૃતકના પરિવારજનોને બે લાખ રૂપિયા તથા પ્રત્યેક ઈજાગ્રસ્તોને ૫૦,૦૦૦ રૂપિયાનું વળતર જાહેર કર્યું હતું. આસામની હિંસામાં ગઈ કાલ સુધી ૫૩ લોકોનાં મોત નીપજ્યાં હતાં અને બે લાખથી વધુ લોકો રાહત કૅમ્પોમાં આશ્રય લઈ રહ્યા છે.
કેન્દ્ર સરકારે ગઈ કાલે હિંસાગ્રસ્ત વિસ્તારોમાં અર્ધ-લશ્કરી દળોના કુલ ૧૧,૦૦૦ જવાનો તહેનાત કરવાનો આદેશ આપ્યો હતો. અત્યારે સૌથી અસરગ્રસ્ત કોકરાઝાર, ચિરાંગ અને ધુબરી જિલ્લામાં ૭૩૦૦ જવાનો તહેનાત છે. આ સાથે જીવનજરૂરી ચીજવસ્તુઓ તથા દવાઓ સાથેનું વિમાન રવાના કરવામાં આવ્યું હતું. ગઈ કાલે પશ્ચિમબંગનાં મુખ્ય પ્રધાન મમતા બૅનરજીએ પણ આસામના અસરગ્રસ્તોની દેખભાળ કરવાની તૈયારી દર્શાવી હતી.