ઇન્ટરનૅશનલ ગ્રાઉન્ડનો પૉલિટિકલ કાર્યક્રમ માટે ઉપયોગ શા માટે?

28 October, 2014 03:22 AM IST  | 

ઇન્ટરનૅશનલ ગ્રાઉન્ડનો પૉલિટિકલ કાર્યક્રમ માટે ઉપયોગ શા માટે?




વરુણ સિંહ


વિધાનસભાની ચૂંટણીનાં પરિણામોમાં BJP સિંગલ લાર્જેસ્ટ પાટી બન્યા પછી હવે સરકાર રચવાની તૈયારીઓ શરૂ થતાં નવા પ્રધાનમંડળની શપથવિધિ વાનખેડે સ્ટેડિયમમાં યોજવા સામે વાંધો ઉઠાવતાં સ્ટેડિયમના સંચાલક મુંબઈ ક્રિકેટ અસોસિએશનના મેદાન-સેક્રેટરી નદીમ મેમણે એવો સવાલ કર્યો હતો કે શહેરમાં બીજાં ગ્રાઉન્ડ્સ ઉપલબ્ધ હોવા છતાં પૉલિટિકલ રૅલી માટે ઇન્ટરનૅશનલ ક્રિકેટ સ્ટેડિયમનો ઉપયોગ શા માટે કરવો જોઈએ?

રાજ્યના નવા મુખ્ય પ્રધાન અને તેમની કૅબિનેટની શપથવિધિ હંગામી ધોરણે શુક્રવારે નિર્ધારિત છે. તેમણે આવા કાર્યક્રમથી આ મેદાનને ઇન્ટરનૅશનલ સ્ટાન્ડર્ડનું બનાવવાની અનેક વર્ષોની મહેનત ધૂળધાણી થઈ જવાની આશંકા દર્શાવી છે.

શું નુકસાન થઈ શકે?

વાનખેડે સ્ટેડિયમ સૅન્ડ-બેઝ્ડ ગ્રાઉન્ડ હોવાથી એમાં ખુરસીઓ અને સોફા ગોઠવવા ઉપરાંત બીજી સિટિંગ અરેન્જમેન્ટ કરવાથી અનેક ઠેકાણે નાના-નાના ખાડા પડી જશે. એ પ્રોગ્રામ થઈ ગયા પછી એ બધા ખાડા પૂરવા અને રિપેરિંગ કરવાનું કામ યુદ્ધને ધોરણે હાથ ધરવામાં આવે તો પણ એમાં ૨૦ દિવસ નીકળી જશે. આ ફંક્શનને કારણે રણજી ટ્રોફી અને અન્ડર-૧૯ જેવી ઇમ્પોર્ટન્ટ પ્રૅક્ટિસ-મૅચો BKC ખાતેના MCA ગ્રાઉન્ડ પર શિફ્ટ કરવી પડશે. એ ગ્રાઉન્ડ પર ઉપરાઉપરી અન્ડર-૧૬, અન્ડર-૧૪ અને વિમેન્સ ટીમની મૅચોનાં શેડ્યુલ છે. વળી MCAની ઍન્યુઅલ અવૉડ્ર્સ સેરેમની પહેલી નવેમ્બરે યોજાવાની છે એ પણ મુલતવી રાખવી પડશે. 

બીજાં મેદાનો પણ છે

મારો વાંધો એટલો જ છે કે જો શહેરમાં બીજાં અનેક મેદાનો ઉપલબ્ધ હોય તો શપથવિધિ માટે ઇન્ટરનૅશનલ ગ્રાઉન્ડનો જ ઉપયોગ શા માટે કરવો જોઈએ? બાંદરા-કુર્લા કૉમ્પ્લેક્સ (BKC)માં MMRDA  ગ્રાઉન્ડ છે. પાર્ટી-વર્કર્સ વાનખેડેનો ઉપયોગ કરશે તો એમાં જાતજાતનાં ખુરસી-સોફા અને તરેહતરેહનું રાચરચીલું ગોઠવશે. એનાથી મેદાનને નુકસાન થાય તો શું કરવું? એક ઇન્ટરનૅશનલ ગ્રાઉન્ડ બનાવવું અઘરું છે. વળી વાનખેડે સ્ટેડિયમનો વપરાશ આવાં કામો માટે ક્યારેય થયો નથી તો પછી હવે શા માટે કરવો જોઈએ? આ પૉલિટિશ્યનો અહીં જ શપથવિધિ યોજવા શા માટે આટલા તત્પર છે? ૨૦૦૭માં T20 વર્લ્ડ કપમાં ભારતના વિજયની આ મેદાન પર ઉજવણી સામે ઘણા વાંધા હતા; પરંતુ તેમણે બાંયધરીઓ આપી, પિચ કૉર્ડન-ઑફ કરવાનાં વચનો આપ્યાં છતાં લોકો બધી પિચો ખદેડી વળ્યા અને મેદાનનો પણ બેફામ રીતે વપરાશ કર્યો. હવે પૉલિટિશ્યન્સ ટમ્ર્સ ડિક્ટેટ કરે છે. આ ફંક્શનમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદી, BJPના પાર્ટી-ચીફ અમિત શાહ અને બીજા અનેક મહાનુભાવો હાજર રહેશે. હું ગવર્નરને આ કાર્યક્રમ અહીં યોજવાને બદલે બીજા કોઈ ઠેકાણે રાખવાની વિનંતી કરું છું. વાનખેડે સ્ટેડિયમની કૅપેસિટી ૩૫ હજાર માણસોને સમાવવાની છે, જ્યારે ચોપાટી પર એક લાખ માણસો સમાઈ શકે તો પછી ત્યાં આ ફંક્શન કેમ ન કરી શકાય? જો મોદી સ્ટેડિયમને આવું નુકસાનનું કામ કરી શકે તો મારે બીજું શું કહેવું એ સમજાતું નથી.

BJPના પ્રવક્તા શું કહે છે?

આ ફંક્શન વાનખેડે સ્ટેડિયમમાં યોજવા બાબતે મુંબઈ BJPના ચીફ સ્પોક્સપર્સન નિરંજન શેટ્ટીએ કહ્યું હતું કે ‘પાર્ટીએ સ્થળ નક્કી કર્યું, પરંતુ ફંક્શન તો સરકાર યોજે છે. ગ્રાઉન્ડના સેફ્ટી અને મેઇન્ટેનન્સ માટે બધી જરૂરી પરવાનગીઓ મેળવીને બધી સાવચેતીઓ રાખીને આયોજન કરવામાં આવશે એવી અમને આશા છે.’

ચાલીસેક હજાર ઓપન ઇન્વિટેશન્સ

ગરવારે પૅવિલિયનની નીચે સ્ટેજ જેવું એન્ક્લોઝર વડા પ્રધાન, સેન્ટ્રલ કૅબિનેટના અન્ય સભ્યો તેમ જ BJPના ટૉપ લીડર્સ માટે બાંધવામાં આવશે. ગવર્નર તથા નવા ચીફ મિનિસ્ટર આ એન્ક્લોઝરની જોડાજોડ મંચ પર બેસશે. આ સ્ટેજની સામે ૨૦૦૦ જેટલા VVIP મહાનુભાવો બેસશે. એમાં પૉલિટિશ્યન્સ, ઇન્ડસ્ટ્રિયલિસ્ટ્સ, બૉલીવુડની સેલિબ્રિટીઝ તથા અન્ય મહાનુભાવો બિરાજશે. પાર્ટી આ સેરેમનીમાં જાહેરમાં ૩૫,૦૦૦થી ૪૦,૦૦૦ લોકોને પણ આમંત્રણો મોકલવા ઇચ્છે છે.