08 August, 2026 10:25 AM IST | New Delhi | Gujarati Mid-day Correspondent
સુખબીર સિંહ બાદલ
શિરોમણિ અકાલી દળ (SAD)ના પ્રમુખ સુખબીર સિંહ બાદલે શુક્રવારે પાર્લમેન્ટમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદી સાથે મહત્ત્વપૂર્ણ બેઠક કરી હતી. પંજાબમાં આગામી વર્ષની શરૂઆતમાં યોજાનારી વિધાનસભાની ચૂંટણીઓ પહેલાં આ મુલાકાત યોજાતાં વર્ષો જૂના વિવાદો ભૂલીને ભારતીય જનતા પાર્ટી (BJP) અને SAD ફરી એકમંચ પર આવશે કે કેમ એ વિશે રાજકીય અટકળો તેજ બની છે.
બે દાયકાથી પણ વધુ સમય સુધી મજબૂત સાથી પક્ષ રહેલાં BJP અને SAD સપ્ટેમ્બર ૨૦૨૦માં કેન્દ્ર સરકારના ૩ કૃષિ કાયદાઓના વિરોધમાં અલગ થયાં હતાં. SADએ નૅશનલ ડેમોક્રૅટિક અલાયન્સ (NDA) સાથે છેડો ફાડ્યા બાદ ૨૦૨૧માં વડા પ્રધાને આ કાયદા રદ કર્યા હોવા છતાં બન્ને પક્ષો વચ્ચેના સંબંધો વણસેલા જ રહ્યા હતા. ગઠબંધન વિશે હજી સુધી કોઈ સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી, પરંતુ પંજાબનાં બદલાતાં સમીકરણો વચ્ચે જૂના સાથીઓ ફરી હાથ મિલાવશે કે કેમ એ ચર્ચા અત્યંત મહત્ત્વની બની ગઈ છે.