BJPએ રાહુલ ગાંધીને અડધા પાકિસ્તાની ચીતરીને મૉડર્ન યુગના મીરજાફર પણ ગણાવ્યા

21 May, 2025 09:18 AM IST  |  New Delhi | Gujarati Mid-day Correspondent

પહેલા પોસ્ટરમાં રાહુલ અને પાકિસ્તાનના આર્મી ચીફ જનરલ આસિમ મુનીરના ચહેરાઓને એકસાથે જોડવામાં આવ્યા છે.

BJPના નેતા અમિત માલવીયએ સોશ્યલ મીડિયા પર રાહુલ ગાંધીનાં બે પોસ્ટર શૅર કર્યાં હતાં

પહલગામ હુમલા પછી ભારતે ઑપરેશન સિંદૂર દ્વારા પાકિસ્તાનના આતંકવાદી અડ્ડાઓ નેસ્તનાબૂદ કર્યા અને આ ઑપરેશનની સફળતા બાદ એક તરફ સરકાર દેશ-વિદેશમાં અભિયાન ચલાવી રહી છે ત્યારે કૉન્ગ્રેસના નેતા અને લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ આ ઑપરેશનનો હિસાબ માગતાં રાજકીય વાતાવરણ ગરમાયું છે. આના પગલે ભારતીય જનતા પાર્ટી (BJP)ના ઇન્ફર્મેશન ટેક્નૉલૉજી (IT)ના ચીફ અમિત માલવીયએ રાહુલ ગાંધીની તુલના મીરજાફર સાથે કરી હતી.

BJPના નેતા અમિત માલવીયએ સોશ્યલ મીડિયા પર રાહુલ ગાંધીનાં બે પોસ્ટર શૅર કર્યાં હતાં. પહેલા પોસ્ટરમાં રાહુલ અને પાકિસ્તાનના આર્મી ચીફ જનરલ આસિમ મુનીરના ચહેરાઓને એકસાથે જોડવામાં આવ્યા છે.

અમિત માલવીયે તેમની પોસ્ટમાં લખ્યું હતું કે ‘રાહુલ ગાંધી પાકિસ્તાન અને એના સમર્થકોની ભાષા બોલી રહ્યા છે એમાં કોઈ આશ્ચર્ય નથી. તેમણે હજી સુધી ઑપરેશન સિંદૂરની સફળતા બદલ વડા પ્રધાનને અભિનંદન આપ્યાં નથી. એને બદલે તેઓ વારંવાર પૂછે છે કે આપણે કેટલાં જેટ ગુમાવ્યાં. જોકે એનો જવાબ ડિરેક્ટર જનરલ ઑફ મિલિટરી ઑપરેશન્સ (DGMO)ની બ્રીફિંગમાં પહેલેથી જ આપવામાં આવ્યો છે, પરંતુ રાહુલે ક્યારેય પૂછ્યું નહીં કે આ યુદ્ધમાં ભારતીય સેનાએ કેટલાં પાકિસ્તાની જેટ તોડી પાડ્યાં હતાં અથવા કેટલાં ઍરપોર્ટનો નાશ થયો હતો.’

આ સાથે અમિત માલવીયએ રાહુલ ગાંધીને આજના સમયના મીરજાફર ગણાવતું બીજું પોસ્ટર રિલીઝ કર્યું હતું. મોગલ સેનાપતિ મીરજાફર અંગ્રેજોનો સાથી હતો.

આ પોસ્ટરમાં રાહુલ ગાંધી પાકિસ્તાની સરહદની અંદર વડા પ્રધાન શાહબાઝ શરીફની પીઠ પર ઊભા છે. તેઓ ભારતીય સરહદમાં તપાસ કરી રહ્યા છે અને પૂછી રહ્યા છે કે આપણે કેટલાં વિમાન ગુમાવ્યાં? નીચે શાહબાઝ કહે છે, મોટેથી પૂછો.

rahul gandhi bharatiya janata party congress twitter social media operation sindoor india pakistan ind pak tension indian army Pahalgam Terror Attack terror attack political news national news news