07 June, 2025 07:18 AM IST | Bihar | Gujarati Mid-day Online Correspondent
પ્રતીકાત્મક તસવીર
બિહાર (Bihar News)ના ખગડિયા ગામમાં એક અજીબોગરીબ ઘટના સામે આવી છે. અહીં એક તાંત્રિક બાબાની ઢોર માર મારીને હત્યા કરવામાં આવી છે. એટલું જ નહીં આ તાંત્રિકને નદી કિનારે માટીમાં દફનાવી દેવામાં આવ્યો હતો. એવું તો શું થયું કે ગ્રામજનોએ તાંત્રિક સાથે આવું વર્તન કર્યું. તો, આવો તમને સમગ્ર ઘટના વિષે વિસ્તારથી વાત કરીએ.
જે તાંત્રિકની હત્યા કરવામાં આવી છે. તેના ફૅમિલી મેમ્બર્સના જણાવ્યા અનુસાર બુધવારે રાત્રે ગામમાં ભોજનને લઈને થયેલા વિવાદમાં કેટલાક લોકો વચ્ચે બોલાચાલી થઈ હતી. જોતજોતામાં આ બોલાચાલી હિંસામાં ફેરવાઇ ગઈ હતી. ત્યારબાદ ગામના જ કેટલાક લોકોએ તાંત્રિકને ઢોર માર માર્યો હતો. એવો માર માર્યો કે તાંત્રિક ખૂબ જ ગંભીર રીતે ઘાયલ થઈ ગયો હતો. ત્યારબાદ ગુરુવારે રાત્રે તે પોતાના ઘરેથી ગુમ થઈ ગયો હતો. તેની કોઈ ભાળ મળતી નહોતી. ફૅમિલીએ ખૂબ જ શોધવાનો પ્રયાસ કર્યો, પણ તેનો કોઈ પત્તો લાગ્યો નહોતો.
હવે આજે ગુપ્ત માહિતીના આધારે પોલીસ (Bihar News) દ્વારા તપાસ કરવામાં આવી હતી. જેમાં ગામથી લગભગ ત્રણ કિલોમીટર દૂર નદીના કાંઠે માટી ખોદીને તાંત્રિકનની ડેડબૉડીને બહાર કાઢવામાં આવી હતી. તાંત્રિકની ડેડબૉડી મળી આવ્યા બાદ પરિવાર આઘાતમાં સરી પડ્યો. ફૅમિલીએ તો પોલીસ વાહનને જ ઘેરી લીધું અને હોબાળો મચાવ્યો હતો.
આ ઘટના સામે આવ્યા બાદ તાંત્રિકના પુત્રએ પોલીસને જણાવ્યું હતું કે ગામમાં રહેતા કેટલાક લોકોએ તેના પિતાને લાકડીઓ વડે ઢોર માર માર્યો હતો. અને ત્યારબાદ તેમની ડેડબૉડીને સંતાડવા માટે નદી કિનારે લઇ જઈને દફનાવી દેવામાં આવી હતી.
એસપી ઓફિસ દ્વારા બહાર પાડવામાં આવેલી પ્રેસ નોટ અનુસાર આ કેસમાં અલૌલી પોલીસ સ્ટેશન (Bihar News)માં કુલ 12 નામાંકિત અને 5 અજાણ્યા આરોપી સામે કેસ નોંધવામાં આવ્યો છે. આ સમગ્ર મામલે પોલીસે અત્યાર સુધીમાં એક મહિલા સહિત બે લોકોની ધરપકડ કરી છે અને બાકીના આરોપીઓની શોધ કરી રહી છે.
મૃતકની ફૅમિલીએ આ ઘટના અંગે દુઃખ વ્યક્ત કર્યું છે. તેમણે આક્ષેપ કર્યો છે કે પોલીસે સમયસર કોઈ જ કાર્યવાહી કરી નહોતી. જેના કારણે ગુનેગારોને છટકી જવાની તક મળી. અ સાથે જ તેઓએ આ ગુનામાં જે જે આરોપીની સંડોવણી છે તે તમામની તાત્કાલિક ધરપકડ કરવાની માંગ કરી છે.
જોકે, આ ઘટના (Bihar News)એ ફરી એકવાર ખગડિયા ગામમાં તંત્ર-મંત્ર અને અંધશ્રદ્ધા પ્રત્યે લોકોની વિચારસરણી અંગે સવાલ ઉઠાવ્યા છે. સ્થાનિકો તો એવું કહી રહ્યા છે કે સમાજમાં અસુરક્ષાનું વાતાવરણ ઊભું થઈ રહ્યું છે. ભવિષ્યમાં આવી ઘટનાઓ ફરી ન બને તેની માટે વહીવટીતંત્રએ ધ્યાન આપવું જોઈએ.