હવે બિહારની હૉસ્પિટલમાં અગ્નિકાંડ: ICUમાં આગ: ત્રણેક દર્દીઓનાં મોત: બારીઓ-દરવાજા તોડીને બહાર લવાયા પેશન્ટ્સને

04 June, 2026 08:34 AM IST  |  Bihar | Gujarati Mid-day Online Correspondent

Bihar Hospital Fire: આ અગનખેલ હોસ્પિટલના પાંચમા માળે આવેલા ICU વોર્ડમાં ખેલાયો હતો. આખી જ બિલ્ડિંગમાં ધુમાડો ફેલાઈ જતાં ભારે ચકચાર મચી ગઈ હતી.

પ્રતીકાત્મક તસવીર

Bihar Hospital Fire: હજી તો ગઇકાલે દિલ્હીની એક હોટેલમાં ગોઝારો અગનખેલ ખેલાયો હતો ત્યાં આજે ફરી બિહારની હોસ્પિટલમાં અગ્નિકાંડ થયો છે. મુઝફ્ફરપુરમાં આવેલી પ્રસાદ હોસ્પિટલના આઇસીયુ વિભાગમાં શોર્ટ સર્કિટને કારણે ફાટી નીકળેલી આગમાં ત્રણેક દર્દીઓના મોત થયા છે અને બીજા ઘણા પેશન્ટ્સની હાલત નાજુક છે.

ત્રણનાં મોત

આ અગનખેલ હોસ્પિટલના પાંચમા માળે આવેલા ICU વોર્ડમાં ખેલાયો (Bihar Hospital Fire) હતો. આખી જ બિલ્ડિંગમાં ધુમાડો ફેલાઈ જતાં ભારે ચકચાર મચી ગઈ હતી. પ્રાથમિક માહિતી અનુસાર આ અકસ્માતમાં ત્રણેકના મોત થયા છે જ્યારે તે સિવાયના અમુક દર્દીઓ ઘાયલ થયા હોવાનું કહેવાય છે.

ધુમાડાને કારણે શ્વાસ રૂંધાયા

બનાવ (Bihar Hospital Fire)ની જાણ થતાં જ ફાયરબ્રિગેડનો કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો. ફાયર બ્રિગેડે તાત્કાલિક કાર્યવાહી કરી હોસ્પિટલના વિવિધ વોર્ડમાં અટવાયેલા પેશન્ટ્સને તાત્કાલિક બહાર કાઢવાની કામગીરી હાથ ધરી હતી. રેસ્ક્યૂ ટીમોને ICUમાં ફસાયેલા દર્દીઓને બહાર કાઢવા માટે મુશ્કેલી પડી હતી, કારણ કે આગનો ધુમાડો આખી હોસ્પિટલને વીંટળાઇ વળ્યો હતો. ઘણા પેશન્ટ્સને હોસ્પિટલની બારીઓ અને દરવાજા તોડીને બહાર કાઢવામાં આવ્યા હતા.

હોસ્પિટલ પ્રશાસનની બેજવાબદારી

દર્દીઓના પરિવારજનોએ આક્ષેપ લગાવ્યા છે કે હોસ્પિટલના ડોકટરો અને કર્મચારીઓ દર્દીઓને બચાવવાની જગ્યાએ પડતાં મૂકીને ભાગી ગયા હતા. સમયસર સારવાર ન મળવાને કારણે ઘણા દર્દીઓની હાલત ગંભીર બની હતી. એક જણે કહ્યું કે તેના પિતાને આઇસીયુમાં દાખલ કરવામાં આવ્યા હતા અને આગ લાગ્યા બાદ તેઓને બહાર કાઢવામાં ખૂબ જ મોડું થયું. હોસ્પિટલ વહીવટીતંત્ર તરફથી કોઈ મદદ પણ ન મળી. મૃતકના પરિવારના સભ્યો એવું પણ કહી રહ્યા છે કે હોસ્પિટલ વહીવટીતંત્રે આ બનાવ બાદ મૃતકોના મૃતદેહો સોંપવામાં પણ સહકાર આપ્યો ન હતો.

આજે વહેલી પરોઢે આશરે 3:55 વાગ્યે આગ (Bihar Hospital Fire) લાગી હતી. હાલમાં આગને કાબૂમાં લેવાઈ છે. મુઝફ્ફરપુરના જિલ્લા મેજિસ્ટ્રેટ સુબ્રત કુમાર સેને જણાવ્યું હતું કે આઇસીયુમાં લગભગ 13 દર્દીઓ ટ્રીટમેન્ટ લઈ રહ્યા હતા. જ્યારે બીજા અમુક પેશન્ટ કોરોનરી કેર યુનિટ (સીસીયુ)માં સારવાર લઈ રહ્યા હતા. અત્યાર સુધીમાં ત્રણ લોકોનાં મોતની પુષ્ટિ થઈ છે. હજી સુધી તો આ આગનું ચોક્કસ કારણ જાણવા મળ્યું નથી. તપાસનો આદેશ આપવામાં આવ્યો છે. પ્રાથમિક તારણો પ્રમાણે શોર્ટ સર્કિટને કારણે આ બનાવ બન્યો હોઇ શકે છે. ઓક્સિજન યુનિટ અને મોનિટર સિસ્ટમમાં શોર્ટ સર્કિટ થયું હોવાની શંકા છે. તપાસ ચાલી રહી છે. અમે આગ લાગવાનું ચોક્કસ કારણ શોધવા માટે જરૂરી કાર્યવાહી હાથ ધરી છે. અધિકારીઓ હાલમાં તપાસ કરી રહ્યા છે અને ઘાયલોની સ્થિતિ પર નજર રાખી રહ્યા છે.

national news india fire incident bihar delhi