13 January, 2021 07:21 AM IST | Bhopal | Agency
પ્રતીકાત્મક તસવીર
બર્ડ ફ્લૂનો રોગચાળો ફેલાયા પછી મધ્ય પ્રદેશના ૪૧ જિલ્લામાં કાગડા તથા અન્ય જંગલી પક્ષીઓ મળીને ૧૫૦૦ જેટલાં પંખીઓ મૃત્યુ પામ્યાં હોવાનું રાજ્ય સરકારનાં સૂત્રોએ જણાવ્યું હતું. એ રાજ્યના ૧૮ જિલ્લામાં રોગચાળાના કન્ફર્મ્ડ કેસ હોવાના આધારભૂત સમાચાર સરકારી સૂત્રોએ પ્રસારિત કર્યા હતા. ભોપાલસ્થિત નૅશનલ ઇન્સ્ટિટ્યૂટ ઑફ હાઈ સિક્યૉરિટી ઍનિમલ ડિસિઝીસમાં સમગ્ર રાજ્યમાંથી ૩૩૪ સૅમ્પલ્સ તપાસ માટે મોકલવામાં આવ્યાં હતાં.
કાગડા તથા અન્ય પક્ષીઓના મૃતદેહો જ્યાંથી મળ્યા છે એ ૧૮ જિલ્લામાં ઇન્દોર, મંદસૌર, અગર, નીમચ, દેવાસ, ઉજ્જૈન, ખંડવા, ખરગૌન, ગુણા, શિવપુરી, રાજગઢ, શાજાપુર, વિદિશા, ભોપાલ, હોશંગાબાદ, અશોક નગર, દાતિયા અને બરવાનીનો સમાવેશ છે. રાજ્યના પશુપાલન ખાતાના પ્રધાન પ્રેમસિંહ પટેલે વડા પ્રધાનની સૂચના અનુસાર પક્ષીઓની ખૂબ અવરજવર ધરાવતાં ક્ષેત્રો, સરોવરો, નદીઓ વગેરેની આસપાસના વિસ્તારો અને પ્રાણી સંગ્રહાલયોમાં પંખીઓના આરોગ્યની વિશેષ નિગરાણી રાખવામાં આવતી હોવાનું જણાવ્યું હતું. મૃત પક્ષીઓનાં સૅમ્પલ્સની તપાસ માટે વિશેષ જોગવાઈઓ કરવામાં આવી હોવાનું પ્રેમસિંહ પટેલે જણાવ્યું હતું.