ખુશખબર: ભારત બાયોટેકની કોવૅક્સિનને મળી મંજૂરી

02 January, 2021 07:59 PM IST  |  New Delhi | Gujarati Mid-day Online Correspondent

ખુશખબર: ભારત બાયોટેકની કોવૅક્સિનને મળી મંજૂરી

પ્રતીકાત્મક તસવીર

નવું વર્ષ ખરેખર સારું સાબિત થઈ રહ્યું છે. કોરોના સામેની લડતમાં ભારત જલ્દી જીત મેળવી લેશે તેવું લાગે છે. કોરોના વાયરસ માટે શુક્રવારે કોવિશીલ્ડને ઈમરજન્સી યુઝ માટે મંજૂરી મળ્યા બાદ, આજે એટલે કે શનિવારે સેન્ટ્રલ ડ્રગ્સ સ્ટાન્ડર્ડ કંટ્રોલ ઓર્ગેનાઈઝેશન (CDSCO)ની એક્સપર્ટ પેનલે ભારત બાયોટેકની કોવૅક્સિનને પણ કડક નિયમોની સાથે ઈમરજન્સી યુઝ માટે એપ્રુવલ આપી દીધું છે. હવે દેશમાં કોરોના વૅક્સિનનો ઈમરજન્સી ઉપયોગ ટૂંક સમયમાં જ શરૂ થઈ શકે છે.

એક દિવસ પહેલાં જ એક્સપર્ટની પેનલે સીરમ ઈન્સ્ટિટ્યૂટ કોવિશીલ્ડને ઈમરજન્સી યુઝ માટે સશર્ત મંજૂરી આપી હતી. હવે બંને વૅક્સિનને ડ્રગ્સ કંટ્રોલર જનરલ ઓફ ઈન્ડિયા એટલે કે DGCIથી ટૂંક સમયમાં એપ્રુવલ મળશે તેવી આશા છે. શુક્રવારે કેન્દ્રની નિષ્ણાતોની સમિતીએ ઓક્સફોર્ડ-એસ્ટ્રાજેનેકાની વૅક્સિન કોવિશિલ્ડને મંજૂરી આપી છે. તેના 5 કરોડ ડોઝ તૈયાર છે અને તેને એક-બે દિવસમાં વિમાન દ્વારા દેશભરના પ્રાદેશિક કેન્દ્રોમાં પહોંચાડાશે. 6 અને 7 જાન્યુઆરીએ રસીકરણ અભિયાન શરૂ થશે.

કોવિશીલ્ડ વૅક્સિનને પુણેની સીરમ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ડિયા (SSI)દ્વારા બનાવવામાં આવી રહી છે. તેણે 6 ડિસેમ્બરના રોજ ભારતમાં વપરાશની પરવાનગી માટે અરજી કરી હતી. આ પહેલાં બ્રિટનમાં ઓક્સફોર્ડ-એસ્ટ્રાઝેનેકા દ્વારા આ વૅક્સિનને મંજૂરી મળી ચૂકી છે.

ભારત હાલમાં દુનિયામાં કોરોના વાયરસથી સૌથી પ્રભાવિત દેશોમાં બીજા નંબરનો દેશ છે. અહીં કુલ કોરોના સંક્રમિતોની સંખ્યા એક કરોડને પાર પહોંચી ગઈ છે, માટે દેશમાં સરકારે નવા વર્ષમાં રસીકરણની તૈયારીઓ પૂર્ણ કરી લીધી છે.

કોવૅક્સિન વિશે આટલું જાણી લો:

- કોવૅક્સિન ભારતમાં બની રહેલી કોરોનાની રસીનું નામ છે.

- ભારતનું સૌથી મોટું પરિક્ષણ કોવૅક્સિન માટે થયું છે.

- ભારત બાયોટેક નામની કંપની આ રસી બનાવી રહી છે.

- ભારત બાયોટેક નિર્માતા છે અને ભારત સરકારની સંસ્થા ICMR સંશોધન કરે છે.

- કોવૅક્સિનના પહેલા-બીજા તબક્કાના પરીક્ષણ પછી ત્રીજો તબક્કો પણ સફળ રહ્યો છે.

- ત્રીજા તબક્કામાં રસીનું માનવ પરીક્ષણ એક મહિના પહેલા શરૂ થયું હતું

- ત્રીજા તબક્કામાં કુલ 26,000 વોલંટિયર્સ પર કોવૅક્સીનનું પરીક્ષણ થયું છે.

- 26 હજાર લોકોને 28 દિવસમાં 2 વાર રસી આપવાનું કામ ચાલી રહ્યું છે.

- કંપની અને સંશોધકોને એ જાણ નહોતી કે રસી ક્યા સમૂહને અપાઈ છે.

- સરકારના ICMR અને NIVના સહયોગથી ભારત બાયોટેક આ રસી બનાવી રહી છે.

- ભારત બાયોટેકે કોવેક્સિન 60 ટકા અસરકારક હોવાનો દાવો કર્યો છે.

- વોલંટિયરમાં 50 ટકાને કોવૅક્સીન અને 50 ટકાને પ્લેસબો અપાયું છે. એટલે કે પ્લેસબો ઓછા અસરવાળી રસી હશે અને કોવેક્સીન વધુ અસરવાળી રસી હશે. બન્ને પ્રકારની રસી આપ્યા પછી દર્દીઓના પરીક્ષણને આધારે રસીની અસરકારકતા નક્કી થશે.

- ત્રીજા તબક્કાના સફળ પરીક્ષણ પછી કોવૅક્સિન થોડા સમયમાં જ સામાન્ય જનતાને મળવાની છે.

national news coronavirus covid19