08 August, 2025 01:35 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
પ્રતીકાત્મક તસવીર
બ્યુરો ઑફ સિવિલ એવિયેશન સિક્યૉરિટી (BCAS)એ આતંકવાદીઓ અથવા અસામાજિક તત્ત્વો દ્વારા અનિચ્છનીય ઘટનાના ખતરાને પગલે દેશનાં તમામ ઍરપોર્ટ, ઍરસ્ટ્રિપ્સ, હેલિપૅડ, ફ્લાઇંગ સ્કૂલો અને ટ્રેઇનિંગ સંસ્થાઓ સહિત તમામ ઉડ્ડયન-સ્થાપનો પર તાત્કાલિક દેખરેખ રાખવાનાં પગલાં લેવાનો નિર્દેશ કર્યો હતો.
આ સંદર્ભમાં BCASએ જણાવ્યું હતું કે ‘કેન્દ્રીય સુરક્ષા એજન્સીઓને ઇનપુટ્સ મળ્યા છે કે અસામાજિક તત્ત્વો અથવા આતંકવાદી જૂથો તરફથી સંભવિત ખતરો છે. આથી કોઈ પણ અનિચ્છનીય ઘટનાને ટાળવા માટે તમામ સ્તરે સુરક્ષા અને તપાસ વધારી દેવામાં આવી છે. સુરક્ષા કર્મચારીઓને ટર્મિનલ, પાર્કિંગ વિસ્તારો, પરિમિતિ ઝોન અને અન્ય સંવેદનશીલ સ્થળોએ પૅટ્રોલિંગ વધારતી વખતે ચોવીસ કલાક મહત્તમ ચેતવણીની સ્થિતિ જાળવવાની સૂચના આપવામાં આવી છે. ઍરપોર્ટ્સે સ્થાનિક પોલીસ દળો સાથે સંકલનમાં શહેરી સુરક્ષા માટેનાં પગલાં પણ મજબૂત કરવાં જોઈએ.’