બાંકે બિહારી મંદિરમાં પૂજારીઓ દાનપેટીઓ પાસે થેલીઓ લઈને શ્રદ્ધાળુઓને દાન સીધુ એમાં નાખવાનું દબાણ કરવાનો આરોપ

26 August, 2026 01:06 PM IST  |  Mathura | Gujarati Mid-day Correspondent

મથુરાના આ મંદિરમાં દાનની ચોરીના મામલે સુપ્રીમ કોર્ટે આપી ચેતવણીઃ એક પણ રૂપિયાનો દુરુપયોગ થશે તો પોલીસકેસનો આદેશ આપીશું

બાંકે બિહારી મંદિરમાં પૂજારીઓ શ્રદ્ધાળુઓને થેલીમાં દાન આપવા દબાણનો આરોપ

મથુરાના પ્રસિદ્ધ બાંકે બિહારી મંદિરમાં પૂજારીઓ દ્વારા દાનની રકમમાં મોટા પાયે ગોટાળો થતો હોવાનો ચોંકાવનારો રિપોર્ટ હાઈ પાવર્ડ ટેમ્પલ કમિટી (HPTC) દ્વારા સુપ્રીમ કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો. પૂજારીઓ દાનપેટીઓ પાસે થેલીઓ લઈને ઊભા રહીને શ્રદ્ધાળુઓને દાનની રકમ સીધી એમાં નાખવા દબાણ કરતા હોવાનું અને ઑનલાઇન દાન માટેના QR કોડ તોડી નાખ્યા હોવાનું પણ સામે આવ્યું હતું.
આ કૌભાંડ વિશે ચીફ જસ્ટિસ ઑફ ઇન્ડિયા (CJI) સૂર્યકાંતની બેન્ચે લાલ આંખ કરી હતી. કોર્ટે અત્યંત કડક શબ્દોમાં ટિપ્પણી કરતાં કહ્યું હતું કે દાનનો એકેએક રૂપિયો સીધો દાનપેટીમાં અને મંદિરની ઑનલાઇન તિજોરીમાં જ જવો જોઈએ અને પૂજારીઓ દ્વારા ઊભી કરાતી કોઈ પણ અડચણને સહેજ પણ ચલાવી લેવામાં નહીં આવે. કોર્ટે સ્પષ્ટ ચેતવણી આપી છે કે જો દાનના એક પણ રૂપિયાનો દુરુપયોગ થયો તો અમે પોલીસને કેસ નોંધવાનો સીધો આદેશ આપીશું.
આ ઉપરાંત મંદિરના વિકાસ માટે આસપાસની જમીનના સંપાદનમાં પણ પૂજારીઓ દ્વારા અડચણ ઊભી કરવામાં આવી રહી છે. કોર્ટે કમિટીને જમીન-સંપાદનની પ્રક્રિયા ચાલુ રાખવાની મંજૂરી આપતાં સ્પષ્ટ કર્યું હતું કે જો કોઈ વિઘ્ન આવશે તો અમે રાજ્ય સરકારને જમીન હસ્તગત કરવાનો આદેશ આપીશું.

mathura krishna janmabhoomi supreme court uttar pradesh yogi adityanath news national news