કિંગફિશરને મદદ કરવા કરતાં કાપડની બંધ પડેલી મિલો ફરી શરૂ કરો : બાળ ઠાકરે

16 November, 2011 06:44 AM IST  | 

કિંગફિશરને મદદ કરવા કરતાં કાપડની બંધ પડેલી મિલો ફરી શરૂ કરો : બાળ ઠાકરે

 

શિવસેનાના મુખપત્ર ‘સામના’માં તેમણે કહ્યું હતું કે ‘જો કેન્દ્રની યુપીએ (યુનાઇટેડ પ્રોગ્રેસિવ અલાયન્સ) સરકાર પાસે પૈસા વધી ગયા હોય તો તેમણે એ પૈસા મુંબઈની બંધ પડેલી કાપડની મિલો શરૂ કરવા વાપરવા જોઈએ અથવા ખેડૂતોનાં દેવાં માફ કરવા વાપરવા જોઈએ. બાકી એ પૈસા કિંગફિશરને આપવાની જરૂર નથી, કારણ કે વિજય માલ્યાની કિંગફિશર કંપની તેમના જ કારણે પ્રૉબ્લેમમાં ફસાઈ છે. તેમની પાસે પ્લેનમાં ફ્યુઅલ ભરાવવાના પૈસા નથી, કર્મચારીનો પગાર આપવાના પૈસા નથી ત્યારે વિજય માલ્યાની રહેણીકરણીમાં કોઈ ફરક નથી પડ્યો. તેમના અન્ય બિઝનેસને પણ કોઈ અસર નથી થઈ. રાહુલ બજાજે જે વાત કહી છે કે મુક્ત અર્થતંત્રમાં જો કોઈ કંપની મરવા પડી હોય તો એને મરવા દેવી જોઈએ એ વાત સાથે હું સહમત છું. બાકી એમાં સરકારે પૈસા નાખીને એને ઉગારવાની કોઈ જરૂર નથી.’

બાળ ઠાકરેએ એવો પણ આક્ષેપ કર્યો હતો કે પ્રફુલ પટેલ જ્યારે સિવિલ એવિયેશન ખાતાના પ્રધાન હતા ત્યારે તેમણે આઉટ ઑફ વે જઈને કિંગફિશર ઍરલાઇનને મદદ કરી હતી અને તેમની બદલી કરવામાં આવતાં કિંગફિશર ફસડાઈ પડી.