આ યુવાન રાખે છે નરેન્દ્ર મોદીની તબિયતને ટનાટન

18 November, 2014 03:36 AM IST  | 

આ યુવાન રાખે છે નરેન્દ્ર મોદીની તબિયતને ટનાટન




વડા પ્રધાન નરેન્દ્ર મોદી એમના અત્યાર સુધીના કાર્યકાળની સૌથી લાંબી વિદેશયાત્રામાં દુનિયાના ટોચના નેતાઓને મળવામાં વ્યસ્ત છે ત્યારે એમના પર્સનલ સ્ટાફની નજર એ વાત પર છે કે અલગ-અલગ ટાઇમ ઝોનમાં પ્રવાસ કરતા નરેન્દ્ર મોદીનું એનર્જી લેવલ સતત જળવાયેલું રહે.

વડા પ્રધાનના અંતરંગ વતુર્ળના સભ્યોમાં બદ્રી મીણાના સમાવેશનું કારણ આ છે. છેલ્લાં ૧૩ વર્ષથી નરેન્દ્ર મોદીના જીવનનો હિસ્સો બની રહેલા બદ્રી મીણા વડા પ્રધાન માટે ભોજન તૈયાર કરે છે. બદ્રી મીણા માત્ર નરેન્દ્ર મોદીના કૂક જ નથી. વડા પ્રધાન સમયસર જમે અને પૌષ્ટિક ખોરાક ખાય એના પર બદ્રી મીણા સતત નજર રાખે છે.

નરેન્દ્ર મોદી સપ્તાહમાં ત્રણ વાર તો ખીચડી ખાય છે. નાસ્તામાં સામાન્ય રીતે ઈડલી-ઢોસા આરોગે છે. મસાલા વિનાનાં શાક અને પરંપરાગત ગુજરાતી કઢીના તો નરેન્દ્ર મોદી શોખીન છે. અઠવાડિયાના દરેક દિવસ માટે ભોજનનું નરેન્દ્ર મોદીએ એક મેનુ બનાવ્યું છે અને એ મેનુની સંપૂર્ણ માહિતી બદ્રી મીણા પાસે હોય છે.

વડા પ્રધાન વિદેશપ્રવાસે જાય ત્યારે ૩૭ વર્ષની વયના બદ્રી મીણા એમની સાથે જનારી ટીમમાં સામેલ હોય જ છે. ચીનના રાષ્ટ્રપ્રમુખ શી જિનપિંગ અને એમનાં પત્ની અમદાવાદની મુલાકાતે આવ્યાં હતાં ત્યારે એમને પીરસવામાં આવેલી ૧૫૦ ગુજરાતી વાનગીઓ બનાવવાની જવાબદારી બીજા કોઈ સિનિયર અધિકારીને નહીં, પણ બદ્રી મીણાને સોંપવામાં આવી હતી. નરેન્દ્ર મોદીને બદ્રી મીણા પર કેટલો ભરોસો છે એની શાખ આ હકીકત પૂરે છે.

બદ્રી મીણા એમના ભત્રીજાઓ દિનેશ અને સૂરજ સાથે રાજસ્થાનના ઉદયપુર જિલ્લાના બિલક ગામેથી વીસેક વર્ષ પહેલાં ગુજરાત આવ્યા હતા. અમદાવાદના ખાનપુરમાં આવેલી BJPની ઑફિસમાં ૧૫ વર્ષની વયે બદ્રી મીણાએ કામ કરવાનું શરૂ કર્યું હતું. એ ઑફિસમાં બદ્રી મીણાએ બનાવેલી દલિયા તથા ખીચડીનો સ્વાદ નરેન્દ્ર મોદીની દાઢે વળગ્યો હતો.

નરેન્દ્ર મોદી ૧૯૯૮માં ગુજરાતમાં BJPના મહામંત્રી બન્યા ત્યારથી બદ્રી મીણા એમના માટે જમવાનું બનાવે છે. ૨૦૦૧માં નરેન્દ્ર મોદી ગુજરાતના મુખ્ય પ્રધાન બન્યા ત્યારે બદ્રી મીણા એમને મળવા ગયા હતા. એ વખતે જ નરેન્દ્ર મોદીએ બદ્રી મીણાનો સમાવેશ પોતાના સ્ટાફમાં કરી લીધો હતો.