11 June, 2025 06:57 AM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
બાબા સિદ્દિકી અને ઝીશાન અખ્તર ફાઇલ તસવીર
NCP નેતા બાબા સિદ્દીકી હત્યા કેસના માસ્ટરમાઇન્ડ અને કુખ્યાત ગેંગસ્ટર ઝીશાન અખ્તર ઉર્ફે જસ્સી ઉર્ફે યાસીન અખ્તરને કેનેડા પોલીસે કસ્ટડીમાં લીધો છે. મુંબઈ પોલીસના સૂત્રોએ મંગળવારે રાત્રે પુષ્ટિ કરી હતી કે કેનેડિયન પોલીસે ઝીશાન અખ્તરને કસ્ટડીમાં લીધો છે. હવે તેને ભારત લાવવા માટે જરૂરી પ્રક્રિયા શરૂ કરવામાં આવશે.
અહેવાલ અનુસાર, મુંબઈ પોલીસને કેનેડાથી એવા ઇનપુટ મળ્યા છે કે ઝીશાન અખ્તરને ત્યાંના પોલીસ અધિકારીઓએ અટકાયતમાં લીધો છે. તેના પર બાબા સિદ્દીકીની હત્યાનું કાવતરું ઘડવાનો આરોપ છે, જે ગયા વર્ષે 12 ઓક્ટોબર 2024 ના રોજ મુંબઈના બાંદ્રામાં થઈ હતી. આ ઘટના પછીથી ઝીશાન ફરાર હતો. પોલીસ લાંબા સમયથી તેની શોધ કરી રહી હતી.
પંજાબ પોલીસના જણાવ્યા અનુસાર, ઝીશાન અખ્તર કુખ્યાત ગેંગસ્ટર લૉરેન્સ બિશ્નોઈની ગેંગ સાથે સંકળાયેલો રહ્યો છે. તે પુણેના ગેંગસ્ટર સૌરભ મહાકાલ સાથે પણ સંકળાયેલો હતો. મુંબઈ પોલીસે સૌરભને બૉલિવૂડ અભિનેતા સલમાન ખાનના પિતા સલીમ ખાનને મોકલવામાં આવેલા ધમકીભર્યા પત્ર અંગે પૂછપરછ કરી હતી. લૉરેન્સના નજીકના સાથી વિક્રમ બ્રારના નિર્દેશ પર ઝીશાને પંજાબમાં ડેરા અનુયાયીઓની રેકી કરી હતી.
પંજાબમાં ઝીશાન અખ્તર વિરુદ્ધ હત્યા, હત્યાનો પ્રયાસ, ખંડણી અને લૂંટના અનેક કેસ નોંધાયેલા છે. તે લૉરેન્સના ભાઈ અનમોલ બિશ્નોઈ સાથે સીધો સંપર્કમાં હતો. તે તેની સાથે એક ખાસ એપ દ્વારા વાત કરતો હતો. સૌરભ મહાકાલ ઘણી વખત પંજાબમાં ઝીશાનના ઘરે આવીને રહ્યો હતો. જલંધર પોલીસે ઝીશાનને વર્ષ 2022માં હત્યા અને લૂંટના કેસમાં ધરપકડ કરી હતી.
આ સમય દરમિયાન, તે પટિયાલા જેલમાં લૉરેન્સ બિશ્નોઈ ગેંગના કેટલાક ગુંડાઓને મળ્યો. તેમણે તેને બાબા સિદ્દીકીને મારવાનો કોન્ટ્રાક્ટ આપ્યો. જેલમાંથી મુક્ત થયા પછી, ઝીશાન હરિયાણાના કૈથલમાં ગુરમેલ સિંહને મળ્યો. તેણે જ ગુરમેલ, ધર્મરાજ કશ્યપ અને શિવકુમારને બાબા સિદ્દીકીની હત્યાના કાવતરા અંગે સૂચના આપી હતી.
તમને જણાવી દઈએ કે મહારાષ્ટ્રના ભૂતપૂર્વ મંત્રી બાબા સિદ્દીકીની મુંબઈના બાંદ્રામાં તેમના પુત્રની ઑફિસની બહાર હત્યા કરવામાં આવી હતી. આ ઘટનામાં છ ગોળીઓ ચલાવવામાં આવી હતી. તે સમયે, કુખ્યાત ગેંગસ્ટર લૉરેન્સ બિશ્નોઈની ગેંગે આ ઘટનાની જવાબદારી લીધી હતી. તેમણે દાવો કર્યો હતો કે બાબા સિદ્દીકીના સલમાન ખાન સાથેના નજીકના સંબંધો તેમને નિશાન બનાવવાનું કારણ હતા.
આ કેસની તપાસ દરમિયાન, ઝીશાન અખ્તરને મુખ્ય સૂત્રધાર તરીકે ઓળખવામાં આવ્યો હતો. આ ઘટના પછીથી તે ફરાર હતો. તે પછી પણ, તે દેશમાં ઘણી અલગ અલગ ઘટનાઓમાં સામેલ હતો. પંજાબના જલંધરમાં નેતા મનોરંજન કાલિયાના ઘર પર ગ્રેનેડ ફેંકવાના કેસમાં પણ તેનું નામ સામે આવ્યું હતું. આ ઘટનાને તેના નિર્દેશ પર જ અંજામ આપવામાં આવી હતી.