04 August, 2026 07:11 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
નરેન્દ્ર મોદી અને અરવિંદ કેજરીવાલ
આમ આદમી પાર્ટી (AAP)ના નૅશનલ કન્વીનર અરવિંદ કેજરીવાલે ગઈ કાલે જણાવ્યું હતું કે તેઓ આજે ૧૦૦ લોકો સાથે E20 પેટ્રોલના મુદ્દે લોકોનો વિરોધ રજૂ કરવા માટે વડા પ્રધાન નરેન્દ્ર મોદીના નિવાસસ્થાને કૂચ કરશે. તેમણે દાવો કર્યો હતો કે કેન્દ્ર સરકાર અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનલ્ડ ટ્રમ્પના દબાણ હેઠળ એથનૉલ-મિશ્રિત પેટ્રોલને આગળ ધપાવી રહી છે, એમાં સરકારનો કોઈ છૂપો એજન્ડા છે.
દિલ્હીમાં એક પત્રકાર-પરિષદને સંબોધતાં કેજરીવાલે કહ્યું હતું કે ‘E20 પેટ્રોલ વિશે ચિંતાઓ પર ચર્ચા કરવા માટે મુલાકાતની માગણી કરતા ગયા મહિને વડા પ્રધાનને મોકલવામાં આવેલા પત્રનો કોઈ જવાબ ન મળતાં હું વ્યક્તિગત રીતે E20 પેટ્રોલ વિરુદ્ધની બે લાખ અરજી સોંપીશ. અરજીઓ ફ્યુઅલ સાથે જોડાયેલી વાહન-સંબંધિત સમસ્યાઓ વિશેની જાહેર ફરિયાદો છે. અમારી માગણી છે કે વાહનધારકોને શુદ્ધ પેટ્રોલ ખરીદવાનો વિકલ્પ આપવામાં આવે.’