04 May, 2019 07:19 PM IST | દિલ્હી
દિલ્હીના મુખ્યપ્રધાન અરવિંદ કેજરીવાલને ફરી એકવાર એક વ્યક્તિએ લાફો માર્યો છે. કેજરીવાલ પ્રચાર દરમિયાન રેલી કરી રહ્યા હતા, ત્યારે એક વ્યક્તિએ કેજરીવાલને લાફો મારી દીધો. કેજરીવાલ શનિવારે સાંજે મોતી નગરમાં એક રોડ શો કરી રહ્યા હતા, ત્યારે એક વ્યક્તિએ કેજરીવાલને લાફો મારી દીધો. લાફો મારનાર વ્યક્તિની પોલીસે અટકાયત કરી છે. લાફો મારનાર વ્યક્તિનું નામ સુરેશ હોવાનું સામે આવ્યું છે.
આમ આદમી પાર્ટીએ આ ઘટના પાછળ ભાજપને જવાબદાર ઠેરવ્યું છે. આપના પ્રવક્તા સૌરભ ભારદ્વાજનું કહેવું છે કે ભાજપના ઈશારે આ યુવકે કેજરીવાલ પર હુમલો કર્યો છે. દિલ્હીની ડેપ્યુટી સીએમ મનીષ સિસોદિયાએ ટ્વિટ કરીને કહ્યું કે શું મોદી અને અમિત શાહ હવે કેજરીવાલની હત્યા કરાવવા ઈચ્છે છે ? 5 વર્ષ તાકાત લગાવીને અમારું મનોબળ નથી તોડી શક્યા, ચૂંટણીમાં નથી હરાવી શક્યા તો હવે આ રીતે હટાવવા ઈચ્છો છો કાયરો ! આ કેજરીવાલ જ તમારો કાળ છે.
તો દિલ્હીના પૂર્વ મંત્રી અને આપના બળવાખોર ધારાસભ્ય કપિલ મિશ્રાએ આ ઘટના માટે કેજરીવાલને જ જવાબદાર ઠેરવ્યા છે. તેમણે ટ્વિટર પર કહ્યું કે રોડ શો ફ્લોપ, જનતા ગાયક અને નોટંકી શરૂ થઈ છે.
આ પણ વાંચોઃ શ્રીલંકામાં હુમલા વખતે માંડ માંડ બચ્યા શિલ્પા શેટ્ટીના પતિ રાજ કુંદ્રા, કર્યો ખુલાસો
પહેલા પણ થઈ ચૂકી છે આવી ઘટના
દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલ પર આવો હુમલો પહેલા પણ થઈ ચૂક્યો છે. ગત વર્ષે નવેમ્બરમાં પણ કેજરીવાલ પર દિલ્હી સચિવાલયમાં મરચાના પાવડરથી હુમલો થયો હતો. એપ્રિલ, 2016માં દિલ્હી સચિવાલયમાં પ્રેસ કોન્ફરન્સ દરમિયાન તેમના પર જૂતુ ફેંકવામાં આવ્યું હતું.