27 August, 2012 05:16 AM IST |
આ રૅલીની શરૂઆત થઈ ત્યારે સવારે પોલીસે અરવિંદ કેજરીવાલ અને બીજા છ ઍક્ટિવિસ્ટોની અટકાયત કરી હતી, પણ બે કલાક પછી હજારો સમર્થકો ભેગા થઈ જતાં તેમને છોડી મૂકવામાં આવ્યા હતા. ત્યાર બાદ અરવિંદ કેજરીવાલને વડા પ્રધાનના ઘરની નજીક પોલીસના ઘેરાને તોડતી વખતે અટકાવવામાં આવ્યા હતા. ત્યાર બાદ અરવિંદ કેજરીવાલ ફરી જંતરમંતર આવ્યા હતા અને પોતાના ટેકેદારો સાથે ફરી એક વાર તેમણે વડા પ્રધાન અને કૉન્ગ્રેસનાં પ્રેસિડન્ટના ઘર તરફ કૂચ કરી હતી જેને પોલીસે અટકાવી હતી.
કિરણ બેદીની આઇએસીના વિરોધ-પ્રદર્શનમાં ગેરહાજરી
આઇએસી દ્વારા ગઈ કાલે વડા પ્રધાન મનમોહન સિંહ, કૉન્ગ્રેસનાં પ્રેસિડન્ટ સોનિયા ગાંધી અને બીજેપીના પ્રેસિડન્ટ નીતિન ગડકરીના ઘર પાસે દેખાવ કરવા માટે કાઢવામાં આવેલી રૅલીમાં ટીમ અણ્ણાના સભ્યો હાજર હતા, પણ ચાવીરૂપ સભ્ય કિરણ બેદીની ગેરહાજરી ઊડીને આંખે વળગતી હતી. કિરણ બેદીની ગેરહાજરી વિશે કારણ આપતાં અરવિંદ કેજરીવાલે કહ્યું હતું કે ‘તેમને લાગે છે કે બીજેપી સામે વિરોધ-પ્રદર્શન કરવાની જરૂર નથી અને માત્ર કેન્દ્રની સરકારનો વિરોધ કરવા તરફ જ ધ્યાન આપવું જોઈએ, પણ એવું નથી. બીજેપી પણ ભ્રષ્ટાચારમુક્ત સરકારનો વિકલ્પ નથી અને આ વિચારસરણી સાથે કિરણ બેદી સંમત નથી.’
જોકે કિરણ બેદીએ ગઈ કાલે ટ્વિટર પર જણાવ્યું હતું કે તેઓ બીજેપી સામે પણ વિરોધ કરવાની વિચારસરણી સાથે સંમત નથી, પણ આમ છતાં આ વિરોધ-પ્રદર્શનને તેમનો સંપૂર્ણ ટેકો છે.